દિલ્હી યુનિવર્સિટી (DU) ના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં બહુમાળી ઈમારત ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં 27 કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ દિલ્હી પોલીસે કૂલ ૭ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 5 લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાHealthcare કરી રહ્યા છે. મૃતકોમાં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 16થી 20 વર્ષની વયજૂથના 5 અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
રક્ષાબંધન ઉજવીને પરત ફરેલા અર્પિત સહિત 5 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો
એમ્સ (AIIMS) ટ્રોમા સેન્ટરમાં પોસ્ટમોર્ટમ બાદ સામે આવેલી ઓળખ અનુસાર, મૃતક વિદ્યાર્થીઓમાં મધ્ય પ્રદેશના દેવાસનો અર્પિત રાજ અને કટનીનો અક્ષત સિંહ યાદવ, છત્તીસગઢના દુર્ગનો યુવરાજ સોની, ઉત્તર પ્રદેશના સોનભદ્રનો અભિષેક કુમાર અને ઔરૈયાનો પવન કુમાર સામેલ છે. અર્પિત રાજ રક્ષાબંધનની રજાઓ માણીને ઘટનાના થોડા કલાક પહેલાં જ પરત ફર્યો હતો. પવન કુમાર મોતીલાલ નેહરુ કોલેજમાં B.Scનો વિદ્યાર્થી હતો, જ્યારે અક્ષત યાદવ B.Comનો વિદ્યાર્થી હતો અને તેનું સપનું IPS અધિકારી બનવાનું હતું. યુવરાજ સોની તેના પિતાનો એકમાત્ર પુત્ર હતો. આ સિવાય બે શ્રમિકો પરમ લાલ કોરી અને સુરેન્દ્ર સિંહના પણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની ઓળખ હજુ બાકી છે.
મકાનમાલિક પરિવારની ધરપકડ
આ દુર્ઘટના બાદ દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બિલ્ડિંગના માલિક પરિવારના ત્રણ સભ્યો હરિરામ બંસલ, તેમની પત્ની ઉર્મીલા અને પુત્ર મહેશ બંસલની ધરપકડ કરી હતી. આર.કે. પુરમ પોલીસ સ્ટેશનેથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે હરિરામ અને તેમની પત્ની ઉર્મીલાને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં (જેલમાં) મોકલી આપ્યા છે, જ્યારે પુત્ર મહેશ બંસલને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.
PG છોડીને વેંકટેશ્વર કોલેજમાં લીધું શરણ
આ ભયાનક અકસ્માત બાદ સત્ય નિકેતન વિસ્તારના અન્ય PG (પેઇંગ ગેસ્ટ)માં રહેતા હજારો વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે. આસપાસના અનધિકૃત PGમાં રહેતા અસંખ્ય વિદ્યાર્થીઓ રાતોરાત પોતાના રૂમ છોડીને નજીકની શ્રી વેંકટેશ્વર કોલેજમાં શરણ લેવા પહોંચી ગયા હતા. કોલેજ પ્રશાસને હાલ પૂરતી આ વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ્સમાં રહેવા અને જમવાની કામચલાઉ વ્યવસ્થા કરી આપી છે.
તમામ PGનું સેફ્ટી ઓડિટ કરવાની માંગ
આ ઘટનાથી માત્ર એક બિલ્ડિંગની બેદરકારી જ નહીં, પરંતુ મહાનગરપાલિકા (MCD) અને સ્થાનિક પ્રશાસનિય કાનૂનની પોકળતા પણ છતી થઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી છે કે, દિલ્હીના તમામ PG બિલ્ડિંગોનું ત્વરિત અને સઘન સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવામાં આવે. જે ઈમારતો રહેવા યોગ્ય ન હોય તેને તાત્કાલિક સીલ કરી વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવે.



