હરિયાણાથી આવેલા શ્રદ્ધાળુઓ પીર નિગાહ મંદિરમાં દર્શન કર્યા બાદ માતા નૈના દેવી અને શ્રી આનંદપુર સાહિબ જવા માટે નીકળ્યા હતા. મંદિરથી આશરે બે કિલોમીટર દૂર ઉતરાણ દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. વાહનમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સવાર હતા. અકસ્માત બાદ તમામ સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
રાહદારીઓએ શરૂ કરી બચાવ કામગીરી
અકસાનની જાણ થતાં જ આસપાસથી પસાર થતા લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ખાનગી વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સની મદદથી ઉના પ્રાદેશિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. માહિતી મળતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. ઘાયલોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
યાત્રાળુઓ માલવાહક વાહનમાં કેમ?
પીર નિગાહ રૂટ પર માલવાહક વાહનોમાં યાત્રાળુઓની અવરજવર અંગે અગાઉ પણ સવાલો ઉઠ્યા છે. થોડા સમય પહેલાં પણ આવા વાહન સાથે અકસ્માતની ઘટના બની હતી.
વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં માલવાહક વાહનોમાં શ્રદ્ધાળુઓની મુસાફરી અટકાવવામાં અસરકારક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાએ પોલીસ અને વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. હાલ ઘાયલ તમામ શ્રદ્ધાળુઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.




Leave a Comment