બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંદિરના બાહ્ય પરિસરમાં અચાનક ભાગદોડ મચી જતાં અત્યાર સુધીમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને લખીસરાયની સદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વીજળીના થાંભલા અંગે અફવાથી મચી ભાગદોડ
પ્રાથમિક માહિતી મુજબ, અશોકધામ સ્ટેશનથી મંદિર તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે વીજળીનો થાંભલો વાયર સાથે પડી ગયો હતો. સોમવારે સવારે જલાભિષેક માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે થાંભલા અંગે કરંટ લાગ્યો હોવાની અફવા ફેલાઈ હતી. અફવા ફેલાતાં ભક્તોમાં અચાનક ગભરાટ ફેલાયો હતો અને લોકો સુરક્ષિત સ્થળ તરફ દોડવા લાગ્યા હતા. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ એકબીજા સાથે અથડાઈને નીચે પડી ગયા હતા અને ભાગદોડમાં કેટલાક લોકો કચડાઈ ગયા હતા.
ઘટનાસ્થળે અફરાતફરી, બચાવ કામગીરી શરૂ
ભાગદોડ બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ તાત્કાલિક નીચે પડેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ સહિતના વાહનો મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃત્યુઆંક વધવાની આશંકા
હાલમાં 7 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવે તો મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ભાગદોડનું ચોક્કસ કારણ તથા વીજળીના થાંભલા અંગેની હકીકત તપાસવામાં આવી રહી છે.




Leave a Comment