એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-2379) હવામાં ભયાનક ટર્બ્યુલન્સની ચપેટમાં આવી ગઈ હતી. આ દરમિયાન વિમાન એટલી ઝડપથી નીચે તરફ પટકાયું કે માત્ર 30 સેકન્ડના ટૂંકા ગાળામાં તેણે 425 ફીટની ઊંચાઈ ગુમાવી દીધી હતી. પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, તે સમયે વિમાનની નીચે આવવાની ઝડપ 1600 ફીટ પ્રતિ મિનિટ સુધી પહોંચી ગઈ હતી એટલે કે વિમાન સરેરાશ દર સેકન્ડે આશરે 8 મીટર નીચે આવી રહ્યું હતું,
જે લગભગ અઢી માળની ઇમારત જેટલી ઊંચાઈ બરાબર થાય છે. અચાનક ઊંચાઈ ઘટી જવાથી સીટ બેલ્ટ ન બાંધેલા મુસાફરો સીધા ઊછળીને વિમાનની છત સાથે અથડાયા હતા, જ્યારે કેટલાક મુસાફરો સીટો અને ગેલેરીમાં પટકાયા હતા.
શું કહે છે સત્તાવાર આંકડા?
પ્રાથમિક તપાસ અનુસાર ઘટના સમયે વિમાન ઓડિશાના રેંગાલી જળાશય ઉપર આશરે 36 હજાર ફીટની ઊંચાઈએ અને લગભગ 480 નોટ્સની ઝડપે ઊડી રહ્યું હતું. સવારે 9.33.17 વાગ્યે વિમાનને અચાનક જોરદાર આંચકો લાગ્યો હતો.
આ પછી વિમાન તરત જ 175 ફીટ નીચે આવ્યું અને પછીની 30 સેકન્ડમાં તેની ઊંચાઈમાં 425 ફીટનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ જ ગાળામાં વિમાનની ઝડપ પણ 22 નોટ્સ જેટલી ઘટી ગઈ હતી.
કેબિનમાં ક્ષણભર માટે વજનહીનતા જેવી સ્થિતિ સર્જાઈ
વિમાનની વર્ટિકલ સ્પીડ માઈનસ 1600 ફીટ પ્રતિ મિનિટ પહોંચી જવાથી વિમાનની અંદર થોડી ક્ષણો માટે ‘ઝીરો ગ્રેવિટી’ એટલે કે વજનહીનતા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. નિષ્ણાતોના મતે આટલી ઝડપથી નીચે આવતી વખતે જે મુસાફરોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેઓ પોતાની સીટ પરથી ઉપર તરફ ઊછળી પડે છે.
આ જ કારણે કેબિનની અંદર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક મુસાફરો છત અને અન્ય સીટો સાથે અથડાતાં ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે, બાદમાં પાયલટે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.




Leave a Comment