સોમવારે વિધાનસભામાં આરોગ્ય અને મહેસૂલ વિભાગોની ગ્રાન્ટ્સ ડિમાન્ડ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વનમંત્રી આર.વી. રણજિત કુમારે પોતાના સંબોધનમાં અગાઉની ચૂંટણીઓ દરમિયાન કથિત રીતે ‘વોટના બદલામાં નોટ’ વહેંચવાના મુદ્દાને ઉઠાવ્યો હતો.
મંત્રીએ આ દરમિયાન તમિલનાડુની રાજનીતિમાં ચર્ચિત ‘થિરુમંગલમ ફોર્મ્યુલા’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે અગાઉની ચૂંટણી દરમિયાન તેમના કાંચીપુરમ વિધાનસભા મતવિસ્તારમાં એક મત માટે ₹1,500 સુધીની રકમ વહેંચવામાં આવી હોવાની વાત સામે આવી હતી.
કરુણાનિધિના ઉલ્લેખ પર ડીએમકે સભ્યોનો વિરોધ
મંત્રીએ પોતાના ભાષણમાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિનો ઉલ્લેખ કરતાં જ ડીએમકેના સભ્યોએ વિરોધ શરૂ કરી દીધો હતો. ડીએમકેના ધારાસભ્યોએ મંત્રીના નિવેદન સામે વાંધો ઉઠાવતા તેને ગૃહની પરંપરા અને દિવંગત નેતાના સન્માન સાથે જોડ્યો હતો.
જોતજોતામાં વિધાનસભામાં હોબાળો શરૂ થઈ ગયો હતો અને બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.
મામલો વધ્યો તો CM વિજયે માફી માગી
વિવાદ વધતો જોઈને મુખ્યમંત્રી જોસેફ વિજયે વિપક્ષ સમક્ષ માફી માગી હતી. તેમણે ગૃહની ગરિમા જાળવવા અને દિવંગત નેતાઓના સન્માનને મહત્વ આપતાં કહ્યું હતું કે, મંત્રીના નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ તેના માટે માફી માગે છે. મુખ્યમંત્રીની માફી બાદ વિધાનસભામાં સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.




Leave a Comment