ગુજરાતમાં ખરીફ સીઝનની વાવણી હજુ પણ ગત વર્ષની સરખામણીએ ધીમી ગતિએ આગળ વધી રહી છે. સીઝનની શરૂઆતમાં વરસાદની અછતને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડેલા છૂટાછવાયા વરસાદે વાવણીને વેગ આપ્યો છે.
20 જુલાઈ સુધીના આંકડા મુજબ રાજ્યમાં કુલ સરેરાશ 85.30 લાખ હેક્ટર સામે 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે કુલ લક્ષ્યાંકના લગભગ 60 ટકા જેટલું છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 68.44 ટકા વિસ્તારમાં વાવણી થઈ હતી, એટલે કે આ વર્ષે વાવેતર લગભગ 9 ટકા ઓછું નોંધાયું છે.
મગફળી, કપાસ અને સોયાબીનની વાવણીમાં વધારો
ખેતી વિભાગના આંકડા મુજબ, સામાન્ય રીતે આ સમય સુધી મગફળીનું વાવેતર લગભગ પૂર્ણ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વિલંબિત વરસાદને કારણે 16.48 લાખ હેક્ટરમાં એટલે કે 86 ટકા વાવેતર થયું છે.
સોયાબીનનું સૌથી વધુ 88.49 ટકા વાવેતર નોંધાયું છે, જ્યારે કપાસનું 18.76 લાખ હેક્ટરમાં એટલે કે 79 ટકા વાવેતર પૂર્ણ થયું છે. મકાઈનો પાક પણ 2.19 લાખ હેક્ટરમાં 78 ટકા સુધી વાવવામાં આવ્યો છે.
ડાંગરની વાવણી હજુ પણ પાછળ
અનાજના મુખ્ય પાક ગણાતા ડાંગરની વાવણી હજુ ધીમી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં માત્ર 25 ટકા વિસ્તારમાં જ ડાંગરનું વાવેતર પૂર્ણ થયું છે. વરસાદની અનિયમિતતા અને પાણીની અછતને કારણે ડાંગર ઉગાડતા વિસ્તારોમાં ખેડૂતો હજુ પણ પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
વરસાદથી ખેડૂતોમાં નવી આશા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અંદાજે 30 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર, મકાઈ અને તુવેર જેવા મુખ્ય ખરીફ પાકોનું વાવેતર ચાલી રહ્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી ખેડૂતોમાં સારો વરસાદ થવાની અને બાકી રહેલી વાવણી સમયસર પૂર્ણ થવાની આશા જાગી છે.




Leave a Comment