કોકરોચ જનતા પાર્ટી (CJP)ના બેનર હેઠળ દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનની અસર હવે દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે. દિલ્હીમાં ગત રાત્રે થયેલી હિંસક અથડામણ બાદ આજે સવારે ફરી મોટી સંખ્યામાં દેખાવકારો જંતર-મંતર પર એકઠા થયા હતા. સુરક્ષાના ભાગરૂપે દિલ્હીના 16 મેટ્રો સ્ટેશન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં સુરક્ષા કડક, જંતર-મંતર પર ભારે પોલીસ બંદોબસ્ત
ગત રાત્રે થયેલી અથડામણ બાદ જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. આજે સવારે ફરી પ્રદર્શનકારીઓ એકઠા થતાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
અભિજિત દીપકેનો દાવો: ‘આંદોલન અહિંસક રહેશે’
જંતર-મંતર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાયા બાદ CJPના સ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું, કે આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આગળ વધશે. તેમણે પોલીસને પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ ન કરવાની અપીલ કરી હતી.
સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાની મૂકી શરત
પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકે જણાવ્યું, કે જો સરકાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન કરવાની ખાતરી આપે તો તેઓ પોતાનું ચાલુ અનશન તાત્કાલિક સમાપ્ત કરવા તૈયાર છે. તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સંવાદ દ્વારા ઉકેલ લાવવાની પણ અપીલ કરી હતી.
પેપર લીક કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસોમાં ઝડપી અને કડક કાર્યવાહી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચનાની જાહેરાત કરી છે. તેમણે સંબંધિત તમામ વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપતાં જણાવ્યું હતું, કે યુવાનોનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પેપર લીકમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
PM મોદીની જાહેરાત બાદ CJPનો પલટવાર
પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ બાદ CJPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાનનો ફોટો પોસ્ટ કરીને “વડાપ્રધાનજી રાજીનામું આપો” તેવી માંગ કરી હતી. CJPએ સરકાર પર યુવાનોના પ્રશ્નોને યોગ્ય રીતે ન ઉકેલવાનો આરોપ પણ લગાવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને અથડામણ
અધિકારીઓના જણાવ્યા મુજબ, અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયા છે અને FIRમાં નામિત લોકોને નોટિસ પાઠવી બાદમાં જવા દેવામાં આવ્યા હતા. બીજી તરફ, ગત રાત્રે ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે લાઠીઓ સાથે સામસામે સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.
મુંબઈમાં 13 FIR નોંધાઈ
મુંબઈ પોલીસે 18 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન ગેરકાયદેસર રીતે ભેગા થવાના આરોપસર 13 અલગ-અલગ FIR નોંધ્યા છે. આ પ્રદર્શનકારીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહારાષ્ટ્રમાં પણ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કાર્યક્રમો અને બંધની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




Leave a Comment