દેશભરમાં નીટ (NEET) પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન અને હોબાળા વચ્ચે ગુરુવારે મોડી રાત્રે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. રાત્રે આશરે 12 વાગ્યે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો અને નિર્ણાયક નિર્ણય લીધો છે.
પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને જાહેરાત કરી હતી કે, સરકાર પેપર લીક રોકવા અને દોષિતોને કડકમાં કડક સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટના પ્રોવિઝન (જોગવાઈ) ધરાવતું નવું બિલ લાવી રહી છે.
આ પ્રસ્તાવિત બિલ પર શુક્રવારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે, કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આ બિલને આખરી ઓપ આપવામાં આવશે અને સરકારનો પ્રયાસ રહેશે કે તેને ટૂંક સમયમાં જ સંસદમાંથી પસાર કરાવવામાં આવે.
નવા કાયદામાં થઈ શકે છે આ કડક જોગવાઈઓ:
- કડક સજા: પેપર લીકમાં સામેલ દોષિતોને 5થી 10 વર્ષ સુધીની જેલની સજા.
- જામીન મુશ્કેલ: ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીનની પ્રક્રિયા અત્યંત કડક બનાવવામાં આવશે.
- કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર તાળાં: જો કોઈ કોચિંગ સેન્ટર કે શિક્ષક સંડોવાયેલ જણાશે તો સંસ્થા તાત્કાલિક બંધ કરાશે અને દોષિતોને બમણી સજા થશે.
- આજીવન બ્લેકલિસ્ટ: પેપર સેટિંગમાં ગડબડ કરનાર દોષિતને સિસ્ટમમાંથી આજીવન બહાર (બ્લેકલિસ્ટ) કરી દેવામાં આવશે.
વાંગચુકે 27મા દિવસે પારણા કર્યા
પીએમ મોદીની આ મહત્વની જાહેરાત બાદ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાના અનશનના 27મા દિવસે પારણા કર્યા હતા. રાત્રે 12.40 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે હોસ્પિટલ પહોંચીને વાંગચુકને જ્યુસ પીવડાવીને અનશન તોડાવ્યા હતા.
અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચુકે જણાવ્યું કે, “સરકારે અમારી માંગણીઓ પર સકારાત્મક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે. વિવિધ શરતો પર લાંબી ચર્ચા અને દેશમાં સંભવિત હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને મેં આ નિર્ણય લીધો છે. હું અનશન તોડીને રાહત અનુભવી રહ્યો છું.”




Leave a Comment