કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઉજવણી અને ડાન્સના વીડિયોને લઈને ઉઠેલા વિવાદ પર પ્રથમ વખત ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું, કે પાર્ટીની બેઠક કોઈ ફાઇવ-સ્ટાર હોટલમાં યોજાઈ નહોતી, પરંતુ સામાન્ય બે-ત્રણ સ્ટાર હોટલના બેઝમેન્ટ હોલમાં રાખવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ 37 દિવસ સુધી રસ્તા પર રહી આંદોલનમાં જોડાયેલા સ્વયંસેવકોનો આભાર માનવાનો અને તેમનું સન્માન કરવાનો હતો.
150થી વધુ સ્વયંસેવકોનું સન્માન કરવા કાર્યક્રમ યોજાયો
સૌરવ દાસે જણાવ્યું, કે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા અંદાજે 150થી 200 જેટલા વોલન્ટિયર્સે સતત 37 દિવસ સુધી આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ તમામ સ્વયંસેવકો સાથે ફીડબેક સેશન અને ચર્ચા યોજાઈ હતી, ત્યારબાદ તેમના સન્માન માટે નાનકડી ઉજવણી રાખવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર માત્ર ડાન્સના વીડિયો વાયરલ થયા હોવાથી સમગ્ર ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું.
FIR પરત ખેંચવા સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ
CJPએ સરકાર સામે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નોંધાયેલા તમામ FIR પરત ખેંચવાની માંગ ફરી દોહરાવી છે. પાર્ટીએ સરકારને 24 કલાકનો અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે અગાઉની ચર્ચા દરમિયાન મંગળવાર સુધીમાં તમામ કેસો પરત ખેંચવાની લેખિત ખાતરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો સમયમર્યાદામાં સરકાર તરફથી લેખિત સ્પષ્ટતા નહીં મળે તો દિલ્હીમાં ફરીથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
‘શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ’ અંગેની શરતનો વિરોધ
સૌરવ દાસે જણાવ્યું, કે સરકાર દ્વારા માત્ર “શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ” સામે કાર્યવાહી નહીં કરવાની જે શરત મૂકવામાં આવી છે, તે સ્વીકાર્ય નથી. તેમના કહેવા મુજબ આ પ્રકારની જોગવાઈ પોલીસને મનસ્વી કાર્યવાહી કરવાની છૂટ આપી શકે છે, તેથી તમામ પ્રદર્શનકારીઓ સામેના કેસ સંપૂર્ણપણે પરત ખેંચવા જોઈએ.




Leave a Comment