તાજેતરમાં અનેક ખાનગી શાળાઓ ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ અથવા બાલવાટિકાનું સર્ટિફિકેટ ફરજિયાત માગતી હોવાની ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી. કેટલાક કિસ્સાઓમાં સર્ટિફિકેટના અભાવે બાળકોને પ્રવેશ પણ આપવામાં આવતો નહોતો.
આ મુદ્દે સરકારે સ્પષ્ટ કર્યું છે, કે શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમની કલમ-14 મુજબ કોઈપણ બાળકનો પ્રવેશ માત્ર પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ન હોવાના આધારે અટકાવી શકાય નહીં. ધોરણ-1માં પ્રવેશ માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર અને નિર્ધારિત વય જ માન્ય આધાર ગણાશે.
નિયમનો ભંગ કરનાર શાળાઓ સામે થશે કાર્યવાહી
સરકારે તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત ન બનાવવામાં આવે. જો કોઈ શાળા આ નિયમનો ભંગ કરીને વાલીઓ પાસેથી આવું સર્ટિફિકેટ માગશે અથવા તેના અભાવે બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરશે, તો તેને RTE અધિનિયમનો ભંગ માનવામાં આવશે. આવા કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) દ્વારા શાળા સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વાલીઓને મોટી રાહત
સરકારના આ નિર્ણયથી એવા હજારો વાલીઓને મોટી રાહત મળશે, જેમના બાળકો કોઈ પ્રી-સ્કૂલ અથવા બાલવાટિકામાં અભ્યાસ કર્યા વગર સીધા ધોરણ-1માં પ્રવેશ લેવા ઇચ્છે છે. હવે શાળાઓ મનસ્વી નિયમો બનાવી પ્રવેશ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી શકશે નહીં.




Leave a Comment