અસમમાં સતત વરસી રહેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 2,12,441થી વધુ લોકો પૂરની ઝપેટમાં આવ્યા છે, જ્યારે આ વર્ષે પૂરના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. આ માહિતી અસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA) દ્વારા જાહેર કરવામાં આવી છે.
437 ગામો પાણીમાં, હજારો હેક્ટર પાકને નુકસાન
ASDMAના જણાવ્યા અનુસાર ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ, ધેમાજી અને નાગાંવ જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે. પૂરના કારણે 21 મહેસૂલ મંડળ હેઠળ આવેલા 437 ગામો પ્રભાવિત થયા છે.
ઉપરાંત, 17,198.09 હેક્ટર વિસ્તારમાં ઉભેલો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન શિવસાગર જિલ્લામાં વધુ બે લોકોના મોત થતાં આ સિઝનમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 80 થયો છે.
રાહત શિબિરોમાં વિસ્થાપિતોને આશરો
પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. વિસ્થાપિત પરિવારો માટે 21 રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે,
જ્યાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના કેટલાક શહેરી વિસ્તારોમાં પણ પૂરની અસર જોવા મળી રહી છે, જ્યારે અનેક નદીઓ હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.




Leave a Comment