દેશમાં ટૂંક સમયમાં ₹10 અને ₹20ના મૂલ્યની પ્લાસ્ટિક (પોલિમર)ના નોટ ચલણમાં જોવા મળશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ટ્રાયલ બેઝિસ પર કુલ 200 કરોડ પોલિમર નોટ (₹10ના 100 કરોડ અને ₹20ના 100 કરોડ) છાપવાની તૈયારી કરી રહી છે.
જો આ પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો ભવિષ્યમાં વધુ પ્લાસ્ટિક કરન્સી છાપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે, જેની માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી.
પોલિમર નોટ શું છે અને સરકાર શા માટે લાવી રહી છે?
પોલિમર બેંકનોટ્સ સામાન્ય કાગળને બદલે વિશેષ પ્રકારની પ્લાસ્ટિક સામગ્રી (પોલિમર સબસ્ટ્રેટ) પર છાપવામાં આવે છે. આ નોટ સ્પર્શ કરવામાં કાગળ જેવા જ હળવા હોય છે પરંતુ, તેનાથી ઘણા ફાયદા થાય છે.
- લાંબુ આયુષ્ય: આ નોટ પાણી, ધૂળ અને ગંદકીથી ખરાબ થતા નથી અને સરળતાથી ફાટતા પણ નથી.
- નકલી નોટ પર લગામ: પોલિમર શીટ પર એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ સરળતાથી ઉમેરી શકાય છે, જેનાથી નકલી નોટ બનાવવી લગભગ અશક્ય બની જશે.
- પ્રિન્ટિંગ ખર્ચમાં બચત: કાગળના નોટ જલ્દી ખરાબ થઈ જવાથી વારંવાર છાપવાનો ખર્ચ વધે છે. નાણાકીય વર્ષ 2025માં RBIએ નોટ છાપવા પાછળ ₹6,372.8 કરોડનો ખર્ચ કર્યો હતો. પોલિમર નોટ લાંબો સમય ચાલતા હોવાથી આ ખર્ચમાં મોટો ઘટાડો થશે.
આ નોટ ક્યારે માર્કેટમાં આવશે?
હાલમાં આ એક પાયલટ પ્રોજેક્ટ છે. RBIની નોટ પ્રિન્ટિંગ યુનિટે પોલિમર સબસ્ટ્રેટ શીટ સપ્લાય કરવા માટે ગ્લોબલ ટેન્ડર (Expression of Interest – EOI) બહાર પાડ્યું છે.
ગ્લોબલ ટેન્ડરમાં બોલી જમા કરાવવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા અને કાચો માલ મળ્યા બાદ પ્રિન્ટિંગ શરૂ થશે અને તબક્કાવાર રીતે આ નોટ માર્કેટમાં ઉતારવામાં આવશે.
શું જૂના ₹10 અને ₹20ના કાગળના નોટ બંધ થઈ જશે?
બિલકુલ નહીં. સરકાર અને RBIએ સ્પષ્ટ કર્યું છે કે પ્લાસ્ટિકના નોટ આવ્યા પછી પણ જૂના કાગળના નોટ ચલણમાંથી બહાર નહીં થાય.
- સહ-અસ્તિત્વ (Co-existence): બજારમાં પોલિમર અને કાગળ બંને પ્રકારના નોટ એકસાથે ચાલશે.
- તબક્કાવાર ફેરફાર: આ ફેરફાર ધીમે-ધીમે અને વિવિધ તબક્કામાં કરવામાં આવશે.
વિશ્વના કયા દેશોમાં પ્લાસ્ટિક નોટ ચાલે છે?
વિશ્વના 60થી વધુ દેશોમાં પોલિમર બેંકનોટ્સ ચલણમાં છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ (UK) અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો અગ્રણી છે.
ભારતમાં ચલણ અને નોટબંધીનો ઇતિહાસ (એક નજરે)
હાલમાં ભારતમા મુખ્યત્વે ₹10, ₹20, ₹50, ₹100, ₹200 અને ₹500ના નોટ ચલણમાં છે (₹1, ₹2 અને ₹5ના કાગળના નોટનું પ્રિન્ટિંગ બંધ છે પણ જૂના નોટ વૈધ છે).
આઝાદી પહેલાથી લઈને અત્યાર સુધી ભારતમાં 3 મોટી નોટબંધી થઈ છે:
- જાન્યુઆરી, 1946 (બ્રિટિશ કાળ): કાળા નાણાં પર રોક લગાવવા ₹500, ₹1000 અને ₹10,000ના નોટ બંધ કરાયા હતા.
- જાન્યુઆરી, 1978 (મોરારજી દેસાઈ સરકાર): ભ્રષ્ટાચાર રોકવા ₹1,000, ₹5,000 અને ₹10,000ના નોટ રદ કરાયા.
- 8 નવેમ્બર, 2016 (નરેન્દ્ર મોદી સરકાર): રાતોરાત ₹500 અને ₹1,000ના નોટ અમાન્ય જાહેર કરાયા અને તેના બદલે ₹500 અને ₹2,000ના નવા નોટ આવ્યા.
(નોંધ: 19 મે, 2023ના રોજ RBIએ ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ ₹2,000ના નોટને પણ ચલણમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.)




Leave a Comment