મુંબઈ નજીક ભિવંડીમાં ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ‘કોહિનુર’ નામની 4 માળની રહેણાંક ઈમારત અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ 6થી 7 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.
ઘટનાની જાણ થતાં જ NDRF, ભિવંડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને મ્યુનિસિપલ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પોકલેન મશીનો અને આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
રિપેરિંગ દરમિયાન પિલર તોડવાથી ઈમારત નબળી પડી હોવાની આશંકા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ જૂની ઈમારતમાં છેલ્લા કેટલાક દિવસોથી રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કોન્ટ્રાક્ટર અને મજૂરો દ્વારા ઈમારતના કેટલાક પિલર તોડી નાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
પ્રાથમિક અનુમાન મુજબ, પિલર તૂટવાથી ઈમારતની સ્ટ્રક્ચરલ મજબૂતી નબળી પડી ગઈ હતી અને આખરે તે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જો, કે દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે.
અવાજ સંભળાતા રહેવાસીઓ બહાર નીકળી ગયા
આ દુર્ઘટનામાં રાહતની વાત એ રહી કે ઈમારત ધરાશાયી થાય તે પહેલાં કેટલાક રહેવાસીઓને અસામાન્ય અવાજો સંભળાયા હતા. જેને કારણે મોટાભાગના લોકો સમયસર બહાર નીકળી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. જો, કે પ્રથમ માળ પર રહેલા કેટલાક લોકો અને રિપેરિંગ કામમાં જોડાયેલા મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે.




Leave a Comment