કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ ‘છાત્ર એકતા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા અને રાષ્ટ્રગાન ગાઈને આંદોલનની આ સિદ્ધિને યાદગાર બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન NEET પેપર લીક વિવાદ બાદ જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું.
અભિજીત દીપકે કહ્યું- હજુ આંદોલન પૂર્ણ થયું નથી
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે કહ્યું, કે સરકારને આખરે ઝૂકવું પડ્યું છે, પરંતુ તેમની તમામ માંગણીઓ હજુ પૂર્ણ થઈ નથી. તેમણે કહ્યું કે, “મંત્રીનું રાજીનામું તો થઈ ગયું છે, પરંતુ હજુ અમારી અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ બાકી છે. જ્યાં સુધી તે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.”
CJI સૂર્યકાંતનો માન્યો આભાર
અભિજીત દીપકે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને ‘કોકરોચ’ કહેવાથી જ આંદોલનને નવી ઓળખ મળી અને તે વધુ મજબૂત બન્યું.
CJPએ અપડેટ કરી માંગણીઓની યાદી
કોકરોચ જનતા પાર્ટીએ પોતાની માંગણીઓની સ્થિતિ જાહેર કરી છે:
- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું – પૂર્ણ
- આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર – બાકી
- આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી પાછી ખેંચવી – બાકી
- RAF અને દિલ્હી પોલીસ દ્વારા જાહેર માફી – બાકી
કેજરીવાલે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું, કે સરકારોએ હવે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, કે ભવિષ્યમાં ક્યારેય પેપર લીક જેવી ઘટનાઓ ન બને. તેમણે વિદ્યાર્થીઓના આંદોલનને લોકશાહીની જીત ગણાવી અને તેમની માગણીઓ સાંભળવા બદલ સરકારને અભિનંદન આપ્યા.




Leave a Comment