Virat Kohli Anushka Sharma Vrindavan visit barefoot :ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પ્રત્યેનો લગાવ વિરાટ અને અનુષ્કા માટે નવો નથી, પરંતુ આ વખતે વૃંદાવનમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે લોકોના દિલ જીતી લીધા છે. રવિવારે મોડી સાંજે જ આ દંપતી વૃંદાવન પહોંચી ગયું હતું અને સોમવારે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે સવારે 6 વાગ્યે તેઓ સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ ‘કેલિકુંજ’ પહોંચ્યા હતા. કોઈ પણ વીઆઈપી ઠાઠમાઠ વિના, અત્યંત સાધારણ વેશભૂષામાં બંનેએ ભક્તિમય વાતાવરણનો આનંદ લીધો હતો.
આકરા તાપમાં ખુલ્લા પગે પદયાત્રા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મથુરા-વૃંદાવનના આકરા તાપ અને ગરમી હોવા છતાં વિરાટ અને અનુષ્કા કોઈ પણ ફરિયાદ વિના ખુલ્લા પગે આશ્રમમાં ચાલતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલીએ ઓફ-વ્હાઇટ પેન્ટ અને બર્ગંડી કલરનું ફૂલ સ્લીવ્સ ટી-શર્ટ પહેર્યું હતું, જ્યારે અનુષ્કા શર્માએ સફેદ રંગનો સાદો ડ્રેસ પહેર્યો હતો અને મર્યાદા જાળવવા માટે માથાને દુપટ્ટાથી ઢાકેલું રાખ્યું હતું. બંનેના કપાળ પર તિલક જોવા મળ્યું હતું, જે તેમની ભક્તિનું પ્રતીક હતું.
એરપોર્ટ પર અનુષ્કાએ વડીલના ચરણસ્પર્શ કર્યા
વૃંદાવન પહોંચતા પહેલા દિલ્હી એરપોર્ટ પર પણ એક ખાસ ઘટના બની હતી. એરપોર્ટની બહાર નીકળતી વખતે અનુષ્કા શર્મા ત્યાં ઉભેલા એક વડીલને આદરપૂર્વક પગે લાગી હતી અને ત્યારબાદ તેમને પ્રેમથી ભેટી પડી હતી. જોકે, આ વ્યક્તિ કોણ છે તે અંગે સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે તે અનુષ્કાના કાકા હોઈ શકે છે અથવા તો આશ્રમ સાથે જોડાયેલા કોઈ આદરણીય વ્યક્તિ હોઈ શકે છે. આ દ્રશ્ય જોઈને નેટિઝન્સ કહી રહ્યા છે કે, “આ જ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની સાચી ઓળખ છે.”
જમીન પર બેસીને સાંભળ્યો સત્સંગ
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં વિરાટ અને અનુષ્કા લગભગ અઢી કલાક રોકાયા હતા. આ દરમિયાન તેમણે અન્ય શ્રદ્ધાળુઓની જેમ જમીન પર બેસીને શાંતિથી સત્સંગ સાંભળ્યો હતો. તેમણે મહારાજને કોઈ પ્રશ્ન ન પૂછ્યો, પરંતુ અન્ય લોકોના પ્રશ્નોના ઉત્તર જે રીતે મહારાજ આપી રહ્યા હતા, તે ગહનતાથી સાંભળતા જોવા મળ્યા હતા. સંત પ્રેમાનંદ મહારાજે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, શુદ્ધ અંતઃકરણ અને નિર્મળ મન જ ઈશ્વર પ્રાપ્તિનો સાચો માર્ગ છે. આશ્રમમાં દર્શન કર્યા બાદ દંપતી હોટેલ પહોંચ્યું હતું અને ત્યાંથી સવારે 10 વાગ્યે વરાહ ઘાટ સ્થિત સંત હિત ગૌરાંગી શરણ મહારાજના આશ્રમમાં પણ હાજરી આપી હતી. ત્યાં ગુરુના દર્શન કરીને તેઓ લગભગ 11 વાગ્યે પરત રવાના થયા હતા.
અનુષ્કાની સાદગી પણ કિંમતી
અનુષ્કા શર્મા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આ યાત્રા દરમિયાન તેણે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને કોટનનો કુર્તો પસંદ કર્યો હતો. તેણે ઓફ વ્હાઇટ કલરના બેઝ સાથે પેસ્ટલ શેડ્સની પ્રિન્ટ વાળો કુર્તો અને વાદળી રંગનો ફ્લેર્ડ પેન્ટ પહેર્યો હતો. ફેશન નિષ્ણાતોના મતે અનુષ્કાના આ સાદા દેખાતા ડ્રેસની કિંમત અંદાજિત 30 હજાર રૂપિયા છે.
IPLના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આધ્યાત્મિક શાંતિ
વિરાટ કોહલી હાલમાં IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચ બાદ અને ગુજરાત ટાઇટન્સ સામેની આગામી મેચ પહેલા મળેલા ટૂંકા બ્રેકનો ઉપયોગ વિરાટે પરિવાર સાથે આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે કર્યો હતો. વિરાટ અને અનુષ્કા વૃંદાવન આવ્યા હોવાના સમાચાર મળતા જ આશ્રમની બહાર ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેઓ પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક મેળવવા આતુર હતા.
પાંચમી વખત મહારાજના શરણે
નોંધનીય છે કે વિરાટ અને અનુષ્કા માટે આ મુલાકાત કોઈ આકસ્મિક ઘટના નથી. છેલ્લા બે વર્ષમાં તેઓ પાંચમી વખત સંત પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પુત્ર અકાયના જન્મ બાદ અને વર્ષ 2025 માં ત્રણ અલગ-અલગ પ્રસંગોએ (જાન્યુઆરી, મે અને ડિસેમ્બર) આ કપલ વૃંદાવન આવી ચૂક્યું છે. આ સતત મુલાકાતો દર્શાવે છે કે વિરાટ અને અનુષ્કાના જીવનમાં આસ્થા અને સંતોના આશીર્વાદનું કેટલું મહત્વ છે.




Leave a Comment