ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 અને ધોરણ 11માં કમ્પ્યુટર વિષયનો નવો અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
જોકે, શૈક્ષણિક સત્ર શરૂ થયાને લગભગ બે મહિના પૂર્ણ થવા છતાં હજુ સુધી નવા અભ્યાસક્રમ મુજબની પેપર સ્ટાઇલ અને ગુણભાર જાહેર કરવામાં આવ્યા નથી. જેના કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં મૂંઝવણનો માહોલ સર્જાયો છે.
નવા પુસ્તકો આવ્યા, પરંતુ બ્લુપ્રિન્ટ હજુ બાકી
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા અભ્યાસક્રમને અનુરૂપ કમ્પ્યુટર વિષયના પુસ્તકો તમામ શાળાઓમાં પહોંચાડી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ હાલ તેમાંથી અભ્યાસ પણ કરી રહ્યા છે.
પરંતુ અત્યાર સુધી બોર્ડ દ્વારા પ્રશ્નપત્રની રચના (બ્લુપ્રિન્ટ), પ્રશ્નોના પ્રકાર, પ્રકરણવાર ગુણભાર અને મૂલ્યાંકન પદ્ધતિ અંગે કોઈ સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં જ આ માહિતી જાહેર કરવામાં આવતી હોય છે, જેથી શાળાઓ પરીક્ષાની તૈયારી સમયસર શરૂ કરી શકે.
પ્રિલિમ પરીક્ષા નજીક, શિક્ષકો ચિંતામાં
સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં મોટાભાગની શાળાઓમાં પ્રિલિમ પરીક્ષાઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં શિક્ષકો માટે સૌથી મોટો સવાલ એ છે કે પ્રશ્નપત્ર કયા ધોરણ મુજબ તૈયાર કરવો. નવી પેપર સ્ટાઇલ નક્કી ન થતાં કેટલા ગુણના પ્રશ્નો પૂછવાના, કયા પ્રકારના પ્રશ્નો રાખવાના અને પ્રકરણવાર ગુણનું વિતરણ કેવી રીતે કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
વિદ્યાર્થીઓને પણ તૈયારીમાં મુશ્કેલી
માત્ર શિક્ષકો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, ઓબ્જેક્ટિવ અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ કેટલું રહેશે તથા પ્રેક્ટિકલ આધારિત મૂલ્યાંકન કેવી રીતે થશે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તેના કારણે વિદ્યાર્થીઓ યોગ્ય પરીક્ષા આયોજન અને તૈયારી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.




Leave a Comment