અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે 8 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
8 અંડરબ્રિજ તાત્કાલિક બંધ કરાયા
ભારે વરસાદને કારણે મકરબા, પરિમલ, અખબારનગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ અને ચાંદખેડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે સુરક્ષાના કારણોસર તેમને તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા છે. તંત્રે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો, હેલ્મેટ સર્કલ ટાળવા AMCની અપીલ
પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ રોડ પર ભારે વરસાદના કારણે ભૂવો પડ્યો છે. જ્યારે હેલ્મેટ સર્કલ વિસ્તારમાં પાણી ભરાતા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ નાગરિકોને આ માર્ગ પર ન જવા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. સ્થળ પર મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક નિયંત્રણ માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે એસજી હાઈવે, ગોતા, જગતપુર, એસપી રિંગ રોડ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, ત્રાગડ, IOC રોડ, ડી-કેબિન રોડ અને ચેનપુર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક ધીમો પડ્યો છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યના 255 તાલુકામાં વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 19.5 ઈંચ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખેડાના મહેમદાવાદમાં સૌથી વધુ 19.5 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદના ધોળકામાં 18.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલી, ખેરગામ અને વલસાડના ઉમરગામમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વહીવટી તંત્ર એલર્ટ પર છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.




Leave a Comment