સુરતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર કાનૂની શિકંજામાં સપડાઈ છે. ભાડે રાખેલો ફ્લેટ ખાલી ન કરીને વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ‘લેન્ડ ગ્રેબિંગ’ (જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શું છે આખો મામલો?
સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધા મંજુલાબેન કિર્તીભાઈ પટેલે ડુંભાલ સ્થિત ‘કુશલ દર્શન વાટીકા’ના બીજા માળે આવેલો ફ્લેટ નંબર 203 વર્ષ 2016માં ખરીદ્યો હતો. વર્ષ 2019માં સોસાયટીના પ્રમુખની ઓળખાણ મારફતે તેમણે આ ફ્લેટ કીર્તિબેન રણછોડભાઈ પટેલ (કીર્તિ પટેલ)ને માસિક રૂ. 9,500ના ભાડાથી આપ્યો હતો. જોકે, કીર્તિ પટેલે ભાડા કરાર માટે જરૂરી સરકારી ઓળખપત્ર આપવાના બદલે સતત વાયદાઓ જ કર્યા હતા.
જેલમાંથી છૂટ્યા બાદ પણ દાદાગીરી ચાલુ રાખી
અંદરોઅંદરની મારપીટના એક કેસમાં કીર્તિ પટેલ જેલમાં ગઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ જ્યારે મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિએ ફ્લેટ ખાલી કરવા જણાવાયું, ત્યારે કીર્તિ પટેલે શરૂઆતમાં નવું મકાન શોધવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ કોરોના મહામારીનું કારણ ધરી ભાડું પણ આપવાનું બંધ કરી દીધું હતું.
“લાઈટબિલ હું ભરૂં છું, તમારાથી થાય તે કરી લો”
મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિ અવારનવાર ફ્લેટ ખાલી કરાવવા માટે જતાં ત્યારે કીર્તિ પટેલે પોતાની અસલી દાદાગીરી બતાવી હતી. તેણે મકાનમાલિકને સ્પષ્ટ કહી દીધું હતું કે, “આ મકાનનું લાઈટબિલ હું ભરું છું, એટલે ફ્લેટ ખાલી કરવાની નથી. તમારાથી જે થાય તે કરી લો. જો બીજીવાર ફ્લેટ ખાલી કરાવવા આવ્યા તો તમને જાનથી મારી નાખીશ.” આ ધમકીથી ગભરાઈ ગયેલા વૃદ્ધ દંપતીએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે આકરી કલમો હેઠળ ગુનો નોંધી ACPને તપાસ સોંપી
અગાઉ પણ અનેક વિવાદો અને ગુનાઓમાં સંડોવાયેલી કીર્તિ પટેલ સામે સુરતની પુણા પોલીસે મંજુલાબેનની ફરિયાદના આધારે ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020’ની કલમ 4(3), 5(ચ) તથા ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 506(2) મુજબ ગુનો નોંધ્યો છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની આગળની તપાસ ‘બી’ ડિવિઝનના ACP પી.કે. પટેલને સોંપવામાં આવી છે.




Leave a Comment