સુરતના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં હિંસક અથડામણ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશને ધાર્મિક પૂજાની ચર્ચા બાબતે થયેલી તકરાર બાદ આ અદાવત રાખીને ૫ જેટલા
હુમલાખોર કિન્નરોએ લસકાણા સ્થિત મિત્રના ઘરમાં ઘૂસીને ૨૯ વર્ષીય સપનાકુંવર નામના કિન્નર પર ચપ્પુ અને લાકડાના ફટકા વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો.
રસોડામાં જમવાનું બનાવતી વખતે ઘરમાં ઘૂસી મચાવ્યો આતંક
ઘટનાની વિગતો અનુસાર ગત તા. 30 જુલાઈના રોજ બપોરે સુરત રેલવે સ્ટેશન પર મહાકાળી માતાજીની પૂજા બાબતે ચર્ચા કરતી વખતે ખુશીકુંવર નામના કિન્નરે ‘મારી કેમ વાતો કરો છો’ કહીને બોલાચાલી કરી હતી.
ત્યારબાદ સાંજના સમયે સપનાકુંવર લસકાણાના વિપુલનગરમાં પોતાના મિત્ર દીપકુંવરના ઘરે રાત્રિનું જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે આ અદાવતમાં 5 કિન્નરોનું જૂથ ઘરમાં ઘૂસી આવ્યું હતું:
લાકડા અને ચપ્પુથી હુમલો કર્યો
જમનાકુંવરે લાકડાના ફટકાથી આડેધડ માર માર્યો હતો, જ્યારે શુભકુંવર અને બ્યુટીકુંવરે સપનાકુંવરને પકડી રાખ્યા હતા.ખુશીકુંવરે રસોડામાંથી શાક સમારવાનું ચપ્પુ ઊંચકીને હુમલો કર્યો હતો.
સપનાકુંવરે બચાવમાં હાથ આડો ધરતાં હાથ પર ગંભીર ઘા વાગ્યો હતો અને તેઓ લોહીલુહાણ થયા હતા. આસપાસના લોકો એકઠા થઈ જતાં તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત સપનાકુંવરને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.




Leave a Comment