સંજુ સેમસનને ટીમ ઇન્ડિયા અને પ્લેઇંગ-11માંથી બહાર રાખવાના નિર્ણય પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે હેડ કોચ ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું છે. ગંભીરે સ્પષ્ટ કર્યું, કે સેમસનને ડ્રોપ કરવાના કારણો અંગે તેઓ વ્યક્તિગત રીતે ખેલાડીને સંપૂર્ણ જાણકારી આપી ચૂક્યા છે, પરંતુ તે ચર્ચા જાહેરમાં શેર કરી શકાતી નથી. ટીમ મેનેજમેન્ટ ટીમના હિત, વર્તમાન ફોર્મ અને યોગ્ય કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે, એવું પણ તેમણે કહ્યું.
ખાનગી વાતચીત
મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે જણાવ્યું કે સંજુ સેમસનને જે સ્પષ્ટતા જોઈએ હતી તે તેમને વ્યક્તિગત રીતે આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું, કે ખેલાડી અને હેડ કોચ વચ્ચેની કેટલીક ચર્ચા સંપૂર્ણપણે ખાનગી હોય છે, તેથી તેને જાહેર પ્લેટફોર્મ પર લાવવી યોગ્ય નથી. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે T20 વર્લ્ડ કપમાં સેમસનનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.
ટીમ હિત પ્રથમ
ગંભીરના મતે, કોઈ પણ ખેલાડી વિશેનો નિર્ણય માત્ર નામ અથવા ભૂતકાળના પ્રદર્શનના આધારે લેવાતો નથી. ટીમને તે સમયે જે કોમ્બિનેશન વધુ યોગ્ય લાગે અને જે ખેલાડી વર્તમાન ફોર્મમાં ટીમને વધારે ફાયદો પહોંચાડી શકે, તેને જ તક આપવામાં આવે છે. તેમણે સંકેત આપ્યો, કે સેમસનને બહાર રાખવાનો નિર્ણય પણ આ જ વિચારસરણીના આધારે લેવાયો છે.
વાપસીનો રસ્તો ખુલ્લો
ગંભીરે સ્પષ્ટ કર્યું, કે સંજુ સેમસન માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ નથી થયા. તેમના કહેવા મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન કોઈને ગિફ્ટ તરીકે મળતું નથી અને દરેક ખેલાડીએ સતત પ્રદર્શનથી પોતાનું સ્થાન મજબૂત કરવું પડે છે. યોગ્ય સમય અને યોગ્ય ફોર્મ સાથે સેમસન ફરી મજબૂત વાપસી કરી શકે છે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
હારનું કારણ શું?
હેડ કોચ ગંભીરે ટીમ ઇન્ડિયાની સતત નિષ્ફળતા અંગે પણ ખુલ્લેઆમ કબૂલાત કરી. તેમણે કહ્યું, કે આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ વિદેશી પરિસ્થિતિઓને યોગ્ય રીતે સમજી શકી નથી, જેના કારણે પરિણામો નકારાત્મક આવ્યા. તેમના મુજબ, જો ટીમ પરિસ્થિતિઓ પ્રમાણે વધુ સ્માર્ટ ક્રિકેટ રમતી, તો આવી સતત હારનો સામનો કરવો ન પડ્યો હોત.




Leave a Comment