દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે હવે પોતાનો ઉપવાસ ખતમ કરવાનો સંકેત આપ્યો છે. જો, કે તેમણે આ માટે જનતા સામે એક શરત મૂકી છે. વાંગચુકે કહ્યું છે, કે જો 20 જુલાઈના રોજ યોજાનારી ‘ચલો સંસદ’ માર્ચ સફળ રહેશે તો તેઓ પોતાનું અનશન સમાપ્ત કરશે.
20 દિવસના અનશનમાં 9 કિલો વજન ઘટ્યું
લાંબા સમયથી ચાલી રહેલી ભૂખ હડતાળને કારણે સોનમ વાંગચુકનું વજન આશરે 9 કિલોગ્રામ ઘટી ગયું છે. તેમનું શરીર નબળું પડ્યું હોવા છતાં તેમનું મનોબળ મજબૂત છે. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, કે લોકો સતત તેમને અનશન તોડવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ આ લડત દેશના ભવિષ્ય સાથે જોડાયેલી છે.
‘મારું સ્વાસ્થ્ય દેશના ભવિષ્ય કરતાં મોટું નથી’
વાંગચુકે કહ્યું, કે મેડિકલ તપાસ મુજબ શરીરમાં નબળાઈ છે, પરંતુ હાલ સ્થિતિ એટલી ગંભીર નથી કે થોડા દિવસોમાં જીવને જોખમ થાય. તેમણે કહ્યું, કે લોકોને તેમના જીવનની ચિંતા છે, પરંતુ દેશના વિદ્યાર્થીઓ અને ભવિષ્યને લગતા મુદ્દાઓ વધુ મહત્વપૂર્ણ છે.
જનતાને કરી ‘ચલો સંસદ’ માર્ચમાં જોડાવાની અપીલ
લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાંગચુકે એક મધ્યમ માર્ગ અપનાવ્યો છે. તેમણે લોકોને 20 જુલાઈની સંસદ માર્ચને સફળ બનાવવા અપીલ કરી છે. તેમણે ખાસ કરીને મહિલાઓ અને માતાઓને મોટી સંખ્યામાં જોડાવા માટે વિનંતી કરી છે.
‘માર્ચ સફળ થશે તો રાહતની ઊંઘ લઈશ’
સોનમ વાંગચુકે કહ્યું, કે જો 20 જુલાઈની સંસદ માર્ચ સફળ રહેશે અને આ મુદ્દો યોગ્ય દિશામાં આગળ વધશે તો તેઓ અનશન સમાપ્ત કરીને રાહત અનુભવશે. તેમણે કહ્યું, કે જો તેઓ લડત અધૂરી છોડશે તો ખોટો સંદેશ જશે, કે જવાબદારી વિના કોઈપણ આંદોલનને દબાવી શકાય છે. સોનમ વાંગચુકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમના સમર્થકો દ્વારા 20 જુલાઈની માર્ચને સફળ બનાવવા અપીલ કરવામાં આવી રહી છે.




Leave a Comment