મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતા આ પરિવારે 15 ઓગસ્ટની રાત્રે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી બે પ્રકારના પંજાબી શાક મંગાવ્યા હતા. પરિવારના તમામ પાંચ સભ્યોએ સાથે મળીને ભોજન લીધું હતું.
ભોજન લીધા બાદ થોડા જ સમયમાં પરિવારના સભ્યોની તબિયત બગડવા લાગી હતી. ઉલ્ટી, બેચેની સહિતની તકલીફો શરૂ થતાં પરિવારજનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
5 વર્ષની આર્યાનું સારવાર દરમિયાન મોત
તબિયત વધુ ગંભીર બનતા પરિવારના તમામ પાંચ સભ્યોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન માત્ર 5 વર્ષની માસૂમ બાળકી આર્યાને બચાવી શકાયી નહોતી. 18 ઓગસ્ટે તેનું મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પરિવારના અન્ય ચાર સભ્યો, જેમાં માતા-પિતા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે, તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વરસાદની સીઝનમાં બહારના ખોરાક અંગે સવાલો
આ ઘટના બાદ વરસાદની સીઝનમાં બહારનું ખાવાનું અને રેસ્ટોરન્ટના ખોરાકની ગુણવત્તાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. ચોમાસા દરમિયાન ખાદ્ય પદાર્થો ઝડપથી બગડવાની શક્યતા વધી જાય છે,
જેના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ વધે છે. જો, કે આ પરિવારની તબિયત ખરાબ થવાનું ચોક્કસ કારણ શું હતું અને રેસ્ટોરન્ટના ભોજનને કારણે જ ફૂડ પોઈઝનિંગ થયું હતું કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાને લઈને સંબંધિત તંત્ર દ્વારા ખોરાકના સેમ્પલ સહિતની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કરૂણ બનાવે પરિવારજનોને ઘેરા આઘાતમાં મૂકી દીધા છે અને બહારના ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.



Leave a Comment