હસનપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના કુલ 166 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજનમાં મગચાટની વાનગી આપવામાં આવી હતી. ભોજન પીરસી દીધા બાદ મગચાટની ડોલમાં મૃત ગરોળી જોવા મળતા શાળા અને મધ્યાહન ભોજનના સ્ટાફમાં દોડધામ મચી હતી.
આ દરમિયાન ગરોળીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો, કે કેટલાક બાળકોએ સમગ્ર ઘટના જોઈ લેતાં ગરોળીને કાગળમાં વીંટાળીને બહાર ફેંકવામાં આવી હોવાની વાત વાલીઓ સુધી પહોંચી હતી. ત્યારબાદ વાલીઓએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની વીડિયો રેકોર્ડિંગ પણ કરી હતી.
37 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
ઘટના બાદ શાળાના 166 વિદ્યાર્થીઓમાંથી 37 બાળકોની તબિયત લથડી હતી. બાળકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં તબીબો અને ખાનગી તબીબોની ટીમે બાળકોની સારવાર શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં નાયબ કલેક્ટર રોનક પટેલ, મામલતદાર પૂજા જોશી અને તાલુકા આરોગ્ય અધિકારી ધ્રુવ પટેલ સહિતના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
વાલીઓને અધિકારીઓએ આપી ખાતરી
અધિકારીઓએ હોસ્પિટલમાં બાળકોની સારવાર અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ અસરગ્રસ્ત બાળકોના વાલીઓ સાથે બેઠક કરીને બાળકોને યોગ્ય સારવાર મળી રહી હોવાની ખાતરી આપી હતી. અધિકારીઓએ બેદરકારી સામે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભોજનના સેમ્પલ લીધા છે. સેમ્પલની તપાસ બાદ ભોજનની ગુણવત્તા અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળશે.
ભોજન ચાખવામાં આવ્યું હતું કે નહીં?
આ ઘટનાએ મધ્યાહન ભોજનની ગુણવત્તા અને દેખરેખ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શાળામાં બાળકોને ભોજન પીરસતા પહેલાં તેની ગુણવત્તા ચકાસવા અને ભોજન યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરવાની પ્રક્રિયા હોવા છતાં.
આ પ્રકારની ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ જરૂરી બની છે. મગચાટ બાળકોને પીરસતા પહેલાં કોઈએ ભોજન ચાખ્યું હતું કે નહીં? ગરોળી ક્યારે ભોજનમાં પડી? અને તેને બહાર ફેંકવાનો પ્રયાસ કેમ થયો? જેવા સવાલોના જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.




Leave a Comment