સેમસંગના આ નિર્ણય પાછળ વધતી કોસ્ટ અને નબળા વેચાણને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન મેમરી ચિપની કિંમતમાં બે ગણાથી વધુ વધારો થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. મેમરી ચિપની કિંમત વધવાથી ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે,
જેના કારણે કંપની માટે ઓછા ભાવે પ્રોડક્ટ વેચીને અગાઉ જેવો નફાનો માર્જિન જાળવવો મુશ્કેલ બન્યો છે. આ ઉપરાંત ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈની પણ કંપની પર અસર પડી છે.
સેમસંગના અનેક પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવાતા ઇમ્પોર્ટેડ કમ્પોનન્ટ્સ મોંઘા થતાં કુલ ઉત્પાદન ખર્ચ વધ્યો છે. પરિણામે કંપની ખર્ચ ઘટાડવા અને ઓપરેશનને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો કરી રહી છે.
સેલ્સ-માર્કેટિંગ ટીમના 25% કર્મચારીઓ પર અસરની શક્યતા
અહેવાલ મુજબ સેમસંગના ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસની સેલ્સ અને માર્કેટિંગ ટીમમાં આશરે 550થી 600 અધિકારીઓ છે. આ ટીમના લગભગ 25 ટકા કર્મચારીઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તેમાં કંપનીના ડાયરેક્ટ કર્મચારીઓ ઉપરાંત ઓફ-રોલ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહેલા કર્મચારીઓને કંપની તરફથી સર્વન્સ પેકેજ આપવામાં આવી રહ્યું છે.
અહેવાલ મુજબ કર્મચારીઓને આશરે ત્રણ મહિનાનો પગાર ઉપરાંત દરેક એક વર્ષની સર્વિસ માટે એક મહિનાની વધારાની સેલેરી આપવામાં આવી રહી છે. કંપની કેટલાક રિજનલ ઓફિસને એકીકૃત કરીને ખર્ચ ઘટાડવાની પણ તૈયારી કરી રહી છે.
સ્માર્ટફોન બિઝનેસને હાલ છટણીથી દૂર રાખવામાં આવ્યો
હાલની છટણી મુખ્યત્વે ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસ સુધી મર્યાદિત હોવાનું કહેવાય છે. સ્માર્ટફોન બિઝનેસને હાલ આ છટણીથી અલગ રાખવામાં આવ્યો છે. સેમસંગને આગામી ફેસ્ટિવ સીઝન અને દિવાળી દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં તેજી આવવાની આશા છે.
જોકે, ભારતના સ્માર્ટફોન માર્કેટમાં પણ વેચાણનું વોલ્યુમ વાર્ષિક ધોરણે લગભગ 11થી 12 ટકા ઘટ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
દિવાળી બાદ વધુ ફેરફારની શક્યતા
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, કે દિવાળી બાદ સેમસંગ ઇન્ડિયાના ટીવી અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં વર્કફોર્સને લઈને વધુ ફેરફાર થઈ શકે છે. એટલે આગામી સમયમાં કેટલાક અન્ય કર્મચારીઓ પર પણ છટણીની અસર પડી શકે છે.
જો, કે સેમસંગ ઇન્ડિયાનો સમગ્ર બિઝનેસ નબળી સ્થિતિમાં છે એવું નથી. કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ મજબૂત હોવાનું જણાવવામાં આવે છે. હાલની છટણીને મુખ્યત્વે ટીવી અને હોમ એપ્લાયન્સમાં વધતી કોસ્ટ, નબળા વેચાણ અને પ્રોફિટ માર્જિન જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.



