આસામમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે વધુ વિકટ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં પૂર સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં 21 લોકોના મોત થયા છે. આ સાથે ચાલુ વર્ષે રાજ્યમાં પૂરથી મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
શિવસાગર જિલ્લામાં સૌથી વધુ તારાજી
ASDMAના જણાવ્યા અનુસાર, શિવસાગર જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. અહીં પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે અને 3.59 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત જોરહાટ જિલ્લામાં 87 હજારથી વધુ અને ચરાઈદેવ જિલ્લામાં 72 હજારથી વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. રાજ્યના 44 રેવન્યુ સર્કલ હેઠળ આવેલા 872 ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે.
રાહત અને બચાવ કામગીરી તેજ
પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. હાલમાં 71 રાહત શિબિરો અને 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને સ્થળ પર જ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે.
પૂર દરમિયાન આ સાવચેતી રાખો
પૂરની સ્થિતિમાં દરેક નાગરિકે કેટલીક જરૂરી સાવચેતીઓ રાખવી અત્યંત જરૂરી છે.
- ઇમરજન્સી કિટ તૈયાર રાખો: રોકડ રકમ, મોબાઇલ ચાર્જર, પીવાનું સ્વચ્છ પાણી, સૂકો ખોરાક, ટોર્ચ, પ્રાથમિક સારવારની દવાઓ અને જરૂરી દસ્તાવેજો એક જગ્યાએ તૈયાર રાખો.
- ઊંચા અને સુરક્ષિત સ્થળે ખસી જાઓ: જો તમારું ઘર નીચાણવાળા વિસ્તારમાં હોય તો વહીવટી તંત્રની સૂચના મળતાં જ વિલંબ કર્યા વગર સુરક્ષિત સ્થળે પહોંચી જાવ.
- વીજળીના તારોથી દૂર રહો: પૂર દરમિયાન ખુલ્લા વીજ તાર અથવા વીજ ઉપકરણોના સંપર્કમાં આવવાનું ટાળો, કારણ કે કરંટ લાગવાનો ગંભીર ખતરો રહે છે.




Leave a Comment