![]()
અમદાવાદ : નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની એ તેની ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ (એમએફઆઈ) માટે લોન મર્યાદા રૂા. ૩૦૦ કરોડથી વધારીને રૂા. ૧,૦૦૦ કરોડ કરી છે.
આવી સંસ્થાઓમાં રૂા. ૨,૦૦૦ કરોડ કે તેથી વધુની અસ્કયામતો (એયુએમ) ધરાવતી એમએફઆઈનો સમાવેશ થાય છે. માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના ૨.૦ માર્ચમાં જાહેર કરવામાં આવી હતી.
નાના દેવાદારોને ધિરાણ આપવા માટે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ (એનબીએફસી-એમએફઆઈ) અને અન્ય એમએફઆઈને ધિરાણ આપવા માટે વાણિજ્યિક બેંકો અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને ગેરંટી કવર પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ, નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની રૂ. ૨૦,૦૦૦ કરોડની લોનની ગેરંટી આપવાનું હતું. આ યોજના હેઠળ લોન વિતરણ હજુ શરૂ થયું નથી, કારણ કે સૂક્ષ્મ ધિરાણકર્તાઓએ મોટી સંસ્થાઓ માટે રૂ. ૩૦૦ કરોડની મર્યાદા અપૂરતી ગણાવી છે.
તાજેતરમાં જારી કરાયેલા એક જાહેરનામામાં, કેન્દ્ર સરકારની સંપૂર્ણ માલિકીની નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની એ મોટી એમએફઆઈ માટે મંજૂર રકમ વધારીને રૂ. ૧,૦૦૦ કરોડ કરી છે, જે સંસ્થાના એયુએમ ના ૨૦ ટકાની મર્યાદાને આધીન છે.


Leave a Comment