![]()
મુંબઈ : પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારત સહિત વિશ્વભરમાં ઈંધણનો પૂરવઠો ખોરવાયો છે ત્યારે મોટાભાગના દેશો ઈંધણના વિકલ્પ તરીકે વીજ વપરાશ વધારી રહ્યા છે જેમાં વીજ સંચાલિત કારના ઉપયોગનો પણ સમાવેશ થાય છે.
વીજ કારના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત તેના હરિફોથી ઘણું પાછળ હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
નવી કારોના વેચાણમાં વીજ સંચાલિત કારની ટકાવારી ભારતમાં ઘણી જ ઓછી જોવા મળી રહી છે. ૨૦૩૦ સુધીમાં વીજ સંચાલિત કારોનો હિસ્સો ૩૦ ટકા સુધી લઈ જવા સરકાર ટાર્ગેટ ધરાવે છે.
પેરિસસ્થિત ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના ડેટા પ્રમાણે, ૨૦૨૫માં વિશ્વસ્તરે વેચાયેલી નવી કારોમાં વીજ કારોનો હિસ્સો ૨૫ ટકા જેટલો રહ્યો હતો. જેની સંખ્યા બે કરોડ જેટલી રહી હતી.
જો કે ભારતમાં ગત વર્ષમાં વેચાયેલી નવી કારોમાં વીજ કારોનો હિસ્સો ૪ ટકા રહ્યો હતો.
ભારતની સરખામણીએ વિયેતનામમાં નવી કારોમાં વીજ કારોનો હિસ્સો ૪૧ ટકા રહ્યો હતો જે ૨૦૨૦માં શૂન્ય હતો. થાઈલેન્ડમાં આ આંક ૨૩ ટકા જ્યારે ઈન્ડોનેશિયામાં ગયા વર્ષે ૧૫ ટકા રહ્યો હતો. દક્ષિણ કોરિઆ તથા ફિલિપાઈન્સમાં પણ નવી કારોનો હિસ્સો દસ ટકાથી વધુ રહેવા પામ્યો હતો. ૯ ટકા સાથે લેટિન અમેરિકા અને સાત ટકા સાથે મેક્સિકો પણ ભારતથી આગળ રહ્યા હતા.
નેપાળમાં તો વીજ સંચાલિત કારનો ફેલાવો જોરદાર જોવા મળી રહ્યો છે. ૨૦૨૦માં નવી કારોમાં ૧૦ ટકા હિસ્સા સામે ૨૦૨૫માં નેપાળમાં નવી કારોમાં ઈ-વ્હીકલ્સની ટકાવારી ૬૮ને પાર કરી ગઈ હતી.


Leave a Comment