લઠ્ઠાકાંડ બાદ પોલીસે નકલી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મિથેનોલ કેમિકલ, ખાલી બોટલો, રોયલ સ્ટેગના નકલી સ્ટીકર્સ, ઢાંકણા સહિતના મુદ્દામાલની તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં આશરે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછ અને મળેલા પુરાવાના આધારે મિથેનોલનો જથ્થો દિલ્હીથી સરખેજ સ્થિત ટ્રાન્સપોર્ટની ઓફિસ સુધી મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અહીંથી ભાવનગરના બુટલેગરોએ જથ્થો રિસીવ કર્યો હતો.
મધ્ય પ્રદેશ બાદ હવે દિલ્હી કનેક્શનની તપાસ
નકલી દારૂ તૈયાર કરવા માટે મધ્ય પ્રદેશથી પણ એક વ્યક્તિ ભાવનગર આવ્યો હોવાની માહિતી સામે આવી છે. તેણે નકલી દારૂ બનાવવામાં મદદ કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે મધ્ય પ્રદેશથી ભાવનગર સુધીના ટ્રાન્સપોર્ટ રૂટની પણ તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન સરખેજના ગોડાઉન સહિત વિવિધ સ્થળોના CCTV ફૂટેજ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. દિલ્હીથી પાર્સલ મોકલનાર વ્યક્તિ અંગે પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ મોનિટરિંગ સેલની ટીમને દિલ્હી મોકલવામાં આવી છે.
અસલી દારૂનો પણ નકલી દારૂમાં ઉપયોગ
નકલી દારૂની ગુણવત્તા અંગે ગ્રાહકોને શંકા ન જાય તે માટે તેમાં અસલી રોયલ સ્ટેગ દારૂ પણ ભેળવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ દારૂનો જથ્થો મધ્ય પ્રદેશથી મંગાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
મિથેનોલનું પ્રમાણ વધારતાં દારૂ બન્યો ઝેરી
તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે વધુ નફો મેળવવા માટે નકલી દારૂમાં મિથેનોલનું પ્રમાણ અત્યંત ઊંચું રાખવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે નક્કી કરાયેલા પ્રમાણની સરખામણીમાં મિથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ રાખવામાં આવ્યું હોવાના કારણે દારૂ અત્યંત ઝેરી બની ગયો હતો.
પોલીસને હજુ પણ ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં નકલી દારૂનો મોટો જથ્થો ફરતો હોવાની આશંકા છે. આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




Leave a Comment