રાજકોટ તેલબજારમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ. 30નો વધારો થતાં ભાવ રૂ. 2970થી રૂ. 3020ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે.
સિંગતેલના ભાવમાં રૂ. 500થી 600નો વધારો
ગત વર્ષે મગફળીનું ઉત્પાદન આશરે 52 લાખ ટન રહ્યું હોવા છતાં સિંગતેલનો ડબ્બો રૂ. 2400થી રૂ. 2500ની આસપાસ મળતો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં રૂ. 500થી 600નો વધારો થઈ ચૂક્યો છે. જન્માષ્ટમી પહેલાં તહેવારને ધ્યાનમાં રાખીને ભાવ કૃત્રિમ રીતે નીચા દેખાડવા માટે આંશિક ઘટાડો કરી ડબ્બાના ભાવ રૂ. 2800થી 2850 કરવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા ચાર દિવસમાં જ ફરી રૂ. 70નો વધારો કરવામાં આવ્યો છે.
બજારમાં જથ્થો હોવા છતાં શોર્ટ સપ્લાયનું કારણ?
ગુજરાતમાં મગફળીનું સામાન્ય વાવેતર 16.15 લાખ હેક્ટર જેટલું થાય છે, જ્યારે આ વર્ષે 20.68 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બીજી તરફ, સમગ્ર દેશમાં સામાન્ય રીતે 46.79 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે,
જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 50.45 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે પણ 50.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષનો પાકેલો મગફળીનો જથ્થો હજુ બજારમાં ઉપલબ્ધ હોવા ઉપરાંત નવરાત્રી બાદ નવો માલ પણ બજારમાં આવવાનો છે.
મગફળીનું ઉત્પાદન વધુ છતાં ભાવ કેમ વધી રહ્યા છે?
બજારમાં પૂરતો જથ્થો હોવા છતાં શોર્ટ સપ્લાયનું કારણ આપીને સિંગતેલના ભાવ વધારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે સવાલ ઊઠી રહ્યો છે કે જ્યારે મગફળીનું વાવેતર અને ઉત્પાદન બંને ઊંચા સ્તરે છે,
ત્યારે સિંગતેલના ભાવ સતત કેમ વધી રહ્યા છે? આ ભાવવધારો શોર્ટ સપ્લાય મેનેજમેન્ટની કમી અને સરકારી તંત્રની ભાવને વાજબી સ્તરે જાળવી રાખવામાં નિષ્ફળતા દર્શાવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મોંઘવારીથી સામાન્ય અને ગરીબ વર્ગ પર વધ્યો બોજ
અગાઉ તેલના ભાવમાં થોડોઘણો વધારો થતાં જ લોકો રસ્તા પર ઉતરીને તેલના ડબ્બા ખખડાવી વિરોધ કરતા અને સરકાર સામે આંદોલન કરતા હતા.
જોકે, હાલ સિંગતેલના વધતા ભાવ વચ્ચે સામાન્ય અને ગરીબ વર્ગ પર પડતા વધારાના આર્થિક બોજ અંગે પૂરતી સંવેદનશીલતા જોવા મળતી નથી તેવી ટીકા થઈ રહી છે. સતત વધી રહેલા સિંગતેલના ભાવને કારણે સામાન્ય પરિવારના ઘરખર્ચનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.



