આજની વ્યસ્ત જીવનશૈલી, વધતો તણાવ અને મોડી રાત સુધી મોબાઇલ-લેપટોપનો ઉપયોગ કરવાને કારણે ઘણા લોકો ઊંઘની સમસ્યાથી પરેશાન છે. કેટલાક લોકોને ઊંઘ આવવામાં ઘણો સમય લાગે છે, તો કેટલાક લોકો રાત્રે વારંવાર જાગી જાય છે. લાંબા સમય સુધી આવું ચાલે તો શરીર અને માનસિક સ્વાસ્થ્ય બંને પર તેની નકારાત્મક અસર પડી શકે છે. જો, કે કેટલીક સરળ આદતો અપનાવીને સારી અને શાંતિભરી ઊંઘ મેળવી શકાય છે.
ઝડપથી ઊંઘ આવવા માટે અપનાવો આ સરળ ઉપાયો
હેલ્થલાઇનના જણાવ્યા અનુસાર, સૂતા પહેલા રૂમની લાઇટ ધીમી રાખવી અને મોબાઇલ, ટીવી અથવા લેપટોપ જેવી સ્ક્રીનથી દૂર રહેવું ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ એક જ સમયે સૂવું અને જાગવું શરીરની બાયોલોજિકલ ક્લોકને સંતુલિત રાખે છે, જેના કારણે ઊંઘ સરળતાથી આવે છે.
4-7-8 શ્વાસ લેવાની ટેકનિક અજમાવો
ઝડપથી ઊંઘ લાવવા માટે 4-7-8 બ્રિધિંગ ટેકનિક અસરકારક માનવામાં આવે છે. તેમાં 4 સેકન્ડ સુધી નાકથી શ્વાસ લો, 7 સેકન્ડ સુધી શ્વાસ રોકો અને પછી 8 સેકન્ડમાં ધીમે-ધીમે મોં દ્વારા શ્વાસ બહાર કાઢો. આ પ્રક્રિયા મનને શાંત કરવામાં મદદ કરે છે.
શરીરને આરામ આપતી ટેકનિક પણ કારગર
ધ્યાન (Meditation) અને પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન જેવી પદ્ધતિઓ પણ સારી ઊંઘ માટે ઉપયોગી છે. તેમાં શરીરના સ્નાયુઓને થોડા સમય માટે કડક કરીને પછી ઢીલા છોડવામાં આવે છે, જેનાથી શરીરને આરામ મળે છે. જો 20 મિનિટ સુધી ઊંઘ ન આવે તો પથારીમાંથી ઊઠીને હળવું પુસ્તક વાંચવું વધુ સારું માનવામાં આવે છે.
સૂતા પહેલા આ ભૂલો કરવાનું ટાળો
સૂતા પહેલા ચા, કોફી અથવા અન્ય કેફીનયુક્ત પીણાં પીવાનું ટાળો. રાત્રે ભારે અને મસાલેદાર ભોજન પણ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી મોબાઇલ ચલાવવો, ટીવી જોવું અથવા કામ સંબંધિત તણાવમાં રહેવું પણ સારી ઊંઘના સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે.
ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી?
જો લાંબા સમય સુધી ઊંઘ ન આવવાની સમસ્યા રહે, રાત્રે વારંવાર ઊંઘ તૂટી જાય, દિવસ દરમિયાન સતત થાક લાગે અથવા જોરથી નસકોરાં, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ અનુભવાતી હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. યોગ્ય સમયે સારવાર લેવાથી ઊંઘની સમસ્યાનું મૂળ કારણ જાણી તેનું અસરકારક નિદાન થઈ શકે છે.




Leave a Comment