અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં વેચાતા ‘બચ્ચો કા પાસ્તા’ નામના પાસ્તામાંથી પ્રતિબંધિત ઓઈલ સોલ્યુબલ ડાઈ મળી આવતા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે અમન સેલ્સ એજન્સીને સીલ કરવામાં આવી છે, જ્યારે આશરે રૂ. 3.75 લાખની કિંમતના 75 હજાર શંકાસ્પદ પેકેટનું વેચાણ અટકાવવામાં આવ્યું છે.
બાપુનગરની દુકાનમાંથી લેવાયા હતા સેમ્પલ
મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા બાપુનગરની એક છૂટક દુકાનમાંથી ‘બચ્ચો કા પાસ્તા’ના નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસ દરમિયાન આ પાસ્તામાં ખાદ્ય ઉપયોગ માટે પ્રતિબંધિત ઓઈલ સોલ્યુબલ ડાઈ હોવાની પુષ્ટિ થઈ હતી. આ રિપોર્ટ બાદ ફૂડ વિભાગની ટીમે અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર નજીક આવેલી અમન સેલ્સ એજન્સી પર દરોડો પાડ્યો હતો.
એજન્સી સીલ, 75 હજાર પેકેટ જપ્ત
ફૂડ વિભાગની તપાસ દરમિયાન એજન્સીમાંથી શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ ત્યાંથી વિવિધ નાસ્તાની વસ્તુઓના 7 સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે.
આ ઉપરાંત પાસ્તા, પોપકોર્ન, સોયા ચિપ્સ સહિતના અંદાજે 75 હજાર પેકેટ એટલે, કે 1500 કિલો જેટલો જથ્થો વેચાણ માટે રોકી દેવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે, કે આ નાસ્તાના પેકેટોનું ઉત્પાદન પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ધારીવાલા ફૂડ્સ નામની કંપની દ્વારા કરવામાં આવતું હતું.
કઈ વસ્તુઓના સેમ્પલ લેવાયા?
ફૂડ વિભાગ દ્વારા નીચેની વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે:
- કેચ અપ કચોરી
- સોયા ચિપ્સ
- બચ્ચો કા પાસ્તા
- બિલુ પોપકોર્ન
- પાસ્તા કા નાસ્તા
- મસ્તી કી પાઠશાલા નમકીન
- સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી (કેન્ડી)
પ્રતિબંધિત ડાઈથી આરોગ્ય પર જોખમ
ફૂડ વિભાગના સૂત્રો અનુસાર, ઓઈલ સોલ્યુબલ ડાઈ સામાન્ય રીતે પ્લાસ્ટિક, રબર, લેધર, ઈન્ક અને પેઈન્ટ જેવા ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારના અખાદ્ય રંગનું સેવન આરોગ્ય માટે જોખમી બની શકે છે.
આવા પદાર્થોના સેવનથી ટૂંકા ગાળામાં ઉલટી, અપચો અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે, જ્યારે લાંબા ગાળે લિવર સંબંધિત ગંભીર સમસ્યાનું જોખમ વધી શકે છે. ફૂડ વિભાગ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.




Leave a Comment