CBSEના નવા નિયમ મુજબ ત્રીજી ભાષાની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. જો, કે શાળા સ્તરે લેવાતા આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી આ એસેસમેન્ટમાં નાપાસ થશે, તો શાળાએ બોર્ડનું અંતિમ પરિણામ જાહેર કરતા પહેલા તેની ફરીથી પરીક્ષા લેવી પડશે.
ધોરણ 9માં નાપાસ થનારને મળશે તક
જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9માં ત્રીજી ભાષાના એસેસમેન્ટમાં નાપાસ થાય છે, તો તેને ધોરણ 10માં પ્રમોટ કરવામાં આવશે. પરંતુ ધોરણ 10 દરમિયાન તેને ધોરણ 9ની બાકી રહેલી ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. આ નિયમથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં, પરંતુ ધોરણ 10 પૂર્ણ કરતા પહેલા ભાષાની શરત પૂરી કરવી પડશે.
ધોરણ 6થી લાગુ થશે ત્રણ ભાષાનો નિયમ
CBSEએ શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ 6થી થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમ હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે, જેમાંથી ઓછામાં ઓછી બે ભાષા ભારતીય હોવી જરૂરી રહેશે. જે વિદ્યાર્થીઓ અંગ્રેજી સાથે વિદેશી ભાષા પસંદ કરશે, તેમણે એક વધારાની ભારતીય ભાષા પણ શીખવી પડશે. અગાઉ વિદ્યાર્થીઓ ધોરણ 8 પછી ત્રીજી ભાષા છોડી શકતા હતા, પરંતુ હવે તે ધોરણ 10 સુધી ચાલુ રાખવી પડશે.
નવા નિયમને કોર્ટમાં પડકાર
CBSEના આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીકર્તાઓએ ત્રીજી ભાષાના નિયમને વર્ષ 2029-30 સુધી ટાળવાની માંગ કરી છે. જો, કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને નીતિનો બચાવ કર્યો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી બહુભાષિત્વને પ્રોત્સાહન મળશે, ભારતીય ભાષાઓનું સંરક્ષણ થશે અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બનશે.




Leave a Comment