બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર સ્થિત માનસરોવર નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં અચાનક ભારે અફરાતફરી અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા જૂના ઘર કે મંદિરનો કાટમાળ અહીં ઠાલવવામાં આવ્યો હતો.
પરંતુ રાત્રિના સમયે આ કાટમાળમાંથી ચાંદીના પૌરાણિક સિક્કા મળી આવતા જ વાયુવેગે આ વાત આખા શહેરમાં પ્રસરી ગઈ હતી. પરિણામે, ખજાનો શોધવા માટે સ્થાનિક લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને કાટમાળમાં ખોદાખોદ શરૂ થઈ ગઈ હતી.
રાત્રે 10 વાગ્યાથી શરૂ થયો હતો સિક્કા શોધવાનો ખેલ
સ્થાનિક કેદારભાઈ પઢીયારના જણાવ્યા અનુસાર આ ઘટના ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે શરૂ થઈ હતી. મહાજન હોસ્પિટલની બાજુમાં ચાહતભાઈ મંડોરાની ખુલ્લી જગ્યામાં આ જૂનો કાટમાળ નાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં થોડા લોકોને ચાંદીના પૌરાણિક સિક્કા મળ્યા હોવાની ચર્ચા જાગી હતી.
જોતજોતામાં સવારે 7:30થી 8:00 વાગ્યાની આસપાસ તો સિક્કા શોધવા માટે લોકોની તોતિંગ ભીડ એકઠી થઈ ગઈ હતી.
10-12 લોકોને ચાંદીના સિક્કા મળ્યા હોવાની ચર્ચા
કેદારભાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “આ કોઈ કુદરતી ચમત્કાર નથી. કોઈ જૂના મંદિર કે દેરાસરનો કાટમાળ અહીં નાખવામાં આવ્યો છે અને તેમાંથી જ આ જૂના ચાંદીના સિક્કા મળી રહ્યા છે. લોકોએ કોઈ ભ્રમમાં રહેવું નહીં. અત્યાર સુધીમાં આશરે 10થી 12 લોકોને આ ચાંદીના સિક્કા મળ્યા છે.”
‘અહીં સોનું અને સોનાના બિસ્કિટ પણ છે’
સ્થાનિક શૈલેષ પટેલે જણાવ્યું કે, શહેરમાં એવી અફવા પણ ફેલાઈ ગઈ છે કે કાટમાળમાંથી ચાંદી સિવાય સોનાના સિક્કા અને સોનાના બિસ્કિટ પણ મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, “હું પોતે પણ બે-ત્રણ કલાકથી અહીં સિક્કા શોધી રહ્યો છું. મેં મારી નજરે સોનું જોયું નથી,
પરંતુ અમુક લોકોને સિક્કા મળ્યા હોવાની વાતો સંભળાતાં જ લોકો ઉત્સાહમાં આવીને ખોદાખોદ કરી રહ્યા છે.”
કોર્પોરેટરે પાડોશી પાસે પૌરાણિક સિક્કા જોયાની કરી પુષ્ટિ
વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ચંદ્રકાન્તભાઈએ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, માવજત હોસ્પિટલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી કાટમાળ લાવીને ફેંકવામાં આવ્યો હતો. આ કાટમાળમાંથી કેટલાક સ્થાનિકોને ખરેખર ચાંદીના સિક્કા મળ્યા છે. તેમણે પોતે પણ પડોશીઓ પાસે ત્રણથી ચાર પૌરાણિક સિક્કા જોયા હોવાનું સ્વીકાર્યું હતું.
શહેરમાં મુદ્દો બન્યો ‘ટોક ઓફ ધ ટાઉન’
જોતજોતામાં આ અનોખી ઘટના સમગ્ર પાલનપુર શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય એટલે કે ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને ચૌટા સુધી માત્ર આ કાટમાળના ખજાનાની જ વાતો થઈ રહી છે.
જોકે, કાટમાળમાંથી ખરેખર કેટલા સિક્કા મળી આવ્યા, તે કઈ સદીના છે અને તેની આંતરરાષ્ટ્રીય કે બજાર કિંમત કેટલી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તંત્ર કે પોલીસ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કર્યા બાદ જ હકીકત સામે આવશે.




Leave a Comment