UPI અને RuPay ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરનારા લોકો માટે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, બેંકો ₹2,000 સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલી શકશે નહીં. આ સાથે RuPay ડેબિટ કાર્ડ દ્વારા ₹2,000 સુધીના પેમેન્ટ પર પણ કોઈ ફી લેવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સોમવારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર કોણ નક્કી કરશે ચાર્જ?
₹2,000થી વધુના વ્યવહારો પર ચાર્જ વસૂલવાનો નિર્ણય NPCIની આગેવાની હેઠળની UPI અને સર્વિસિસ સ્ટીયરિંગ કમિટી કરશે. સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે.
MDR લાગુ થશે તો પણ દર ખૂબ નજીવો રહેશે
નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જો ભવિષ્યમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવે તો તે નિર્ધારિત મર્યાદાથી વધુ રકમના પેમેન્ટ પર જ લાગુ થશે અને તેનો દર પણ ખૂબ નજીવો રહેશે. સરકારના જણાવ્યા મુજબ, આવા સંજોગોમાં પણ આ ચાર્જ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર લાગતા MDRની સરખામણીમાં ઘણો ઓછો હશે. તાજેતરમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માં થયેલા સુધારા બાદ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાની શક્યતાઓ અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન સરકારની આ સ્પષ્ટતાથી UPI યુઝર્સને મોટી રાહત મળી છે.
UPIનું સંચાલન NPCI કરે છે
ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમનું સંચાલન RBI કરે છે, જ્યારે IMPS, RuPay અને UPI જેવી પેમેન્ટ સિસ્ટમ્સનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) કરે છે. સરકારે 1 જાન્યુઆરી 2020થી UPI ટ્રાન્ઝેક્શન માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.
UPIથી પેમેન્ટ કેવી રીતે થાય છે?
UPI સર્વિસનો ઉપયોગ કરવા માટે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ એટલે કે UPI ID તૈયાર કરીને તેને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવે છે. ત્યારબાદ પેમેન્ટ કરતી વખતે બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ અથવા IFSC કોડ યાદ રાખવાની જરૂર રહેતી નથી.
UPI ID, મોબાઇલ નંબર અથવા અન્ય ઉપલબ્ધ વિકલ્પ દ્વારા સ્માર્ટફોનથી સરળતાથી પૈસા મોકલી શકાય છે. માત્ર પૈસા ટ્રાન્સફર કરવા માટે જ નહીં, પરંતુ યુટિલિટી બિલ પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ અને દુકાન પર ખરીદી સહિત અનેક વ્યવહારો માટે પણ UPIનો ઉપયોગ કરી શકાય છે. તેના કારણે ઘણા કિસ્સામાં નેટ બેન્કિંગ અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડની જરૂરિયાત રહેતી નથી.



