આજના સમયમાં હેલ્થ અને ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો પોતાની ડાયટમાં ચિયા સીડ્સ (Chia Seeds) નો ઉપયોગ ખૂબ ઝડપથી વધારી રહ્યા છે. ચિયા સીડ્સને પોષક તત્વોનો પાવરહાઉસ માનવામાં આવે છે, જેમાં ઓમેગા-૩ ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કહેવત છે ને કે “અતિ સર્વત્ર વર્જયેત્” એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન પહોંચાડે છે. જો તમે પણ જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં ચિયા સીડ્સનું સેવન કરી રહ્યા છો, તો તે તમારા શરીર માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે.
અહીં જાણો વધુ પડતા ચિયા સીડ્સ ખાવાથી શરીરને થતા 5 મોટા નુકસાન વિશે:
- પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ
ચિયા સીડ્સમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જો તમે અચાનક અથવા બહુ વધારે માત્રામાં ચિયા સીડ્સ ખાવાનું શરૂ કરો છો, તો પાચનતંત્ર તેને પચાવવામાં નિષ્ફળ જાય છે. જેના કારણે પેટમાં ગેસ, બ્લોટિંગ (પેટ ફૂલવું), દુખાવો, ઝાડા કે કબજિયાત જેવી તકલીફો થઈ શકે છે.
- ગળામાં શ્વાસ રૂંધાવવાનું જોખમ
ચિયા સીડ્સ પોતાના વજન કરતાં 10થી 12 ગણું વધુ પાણી શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. જો તમે તેને સૂકા (કોરા) જ ખાઈ લો અને ઉપરથી પાણી પીઓ તો તે અન્નનળી અથવા ગળામાં જઈને ફૂલી જાય છે. આનાથી ગળામાં અટકાવ થવો કે શ્વાસ રૂંધાવવાનું મોટું જોખમ રહે છે. તેથી તેને હંમેશા પાણીમાં પલાળીને જ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.
- બ્લડ પ્રેશર અચાનક ઘટી જવું
ચિયા સીડ્સમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ કુદરતી રીતે લોહીને પાતળું કરે છે અને બીપી ઘટાડવામાં મદદ કરે છે. જોકે, જે લોકો પહેલેથી જ હાઇ બીપીની દવાઓ લઈ રહ્યા છે, તેઓ જો આનું વધુ સેવન કરે તો તેમનું બ્લડ પ્રેશર જોખમી સ્તર સુધી નીચે જઈ શકે છે.
- સુગર લેવલ ખૂબ નીચું જવું (હાઇપોગ્લાયસેમિયા)
ચિયા સીડ્સનું ફાઇબર બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ દવાઓની સાથે ખૂબ વધારે પ્રમાણમાં ચિયા સીડ્સ ખાવા લાગે, તો તેમનું સુગર લેવલ અચાનક ખૂબ જ ઓછું થઈ શકે છે.
- શરીરમાં એલર્જીની તકલીફ
કેટલાક લોકોને ચિયા સીડ્સથી એલર્જી પણ હોઈ શકે છે. આનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં ચિકાટા (દાણા), ખંજવાળ, આંખોમાંથી પાણી પડવું, ઊલટી કે શ્વાસ લેવામાં તકલીફ જેવી આડઅસરો જોવા મળી શકે છે.




Leave a Comment