ભીની માટીની સુગંધ, ઠંડો પવન અને વરસાદી છાંટા સાથે જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં શિવભક્તો સોમવારના વ્રત રાખે છે અને શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે પરંતુ, ધાર્મિક મહત્વની સાથે-સાથે આ મહિનો આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત સાવચેતી રાખવાનો છે.
શ્રાવણમાં વાતાવરણમાં ભેજ અને ઠંડક વધવાને કારણે પાણી અને મચ્છરજન્ય બીમારીઓ ઝડપથી ફેલાય છે. આયુર્વેદ અનુસાર આ મોસમમાં શરીરમાં ત્રિદોષ (વાત, પિત્ત અને કફ)નું અસંતુલન સર્જાય છે. એક્સપર્ટ પાસેથી જાણીએ કે શ્રાવણ માસમાં સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ અને શું ખાવું હિતાવહ છે.
શ્રાવણમાં કેમ બગડે છે વાત, પિત્ત અને કફ?
- વાત દોષનું અસંતુલન: હવામાં ભેજ અને ઠંડી હવાને કારણે શરીરમાં ‘વાત’ દોષ વધે છે. જેના લીધે સાંધાનો દુખાવો, શરીર અકડાઈ જવું, કમરનો દુખાવો અને સતત થાક જેવી સમસ્યાઓ થાય છે.
- પિત્ત દોષનું અસંતુલન: ઉનાળા પછી તરત જ પડતા વરસાદને કારણે જમીનમાંથી ગરમ વરાળ નીકળે છે, જે એસિડિક હોય છે. આનાથી શરીરમાં ‘પિત્ત’ વધે છે, જેનાથી પેટમાં બળતરા, એસિડિટી અને પાચન શક્તિ નબળી પડવાની સમસ્યાઓ થાય છે.
- કફ દોષનું અસંતુલન: વરસાદના કારણે વાતાવરણમાં ભેજ વધતાં જીવજંતુઓ અને બેક્ટેરિયા માટે સાનુકૂળ માહોલ બને છે. પરિણામે થોડી પણ ઠંડક લાગતાં જ શરદી, ઉધરસ અને કફની તકલીફ વધી જાય છે.
શ્રાવણ માસમાં ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ
- ડેરી પ્રોડક્ટ્સ અને દહીં: આ મોસમમાં બેક્ટેરિયા ઝડપથી પનપે છે. તેથી ડેરી પ્રોડક્ટ્સ અને ખાસ કરીને દહીંનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
- લીલા શાકભાજી અને રીંગણ: શ્રાવણમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું, કારણ કે તેમાં નાના જીવજંતુઓ કે સૂક્ષ્મજીવો શાકના રંગમાં ભળી જાય છે જે બીમારીનું કારણ બને છે. આ ઉપરાંત રીંગણ ખાવાનું પણ ટાળવું જોઈએ.
- માંસાહારી ખોરાક: આ મોસમમાં પાચનક્રિયા ધીમી પડી જાય છે. માંસાહાર પચવામાં ભારે હોય છે અને ચેપનું જોખમ વધારે છે.
- તામસિક અને તીખો ખોરાક: ડુંગળી, લસણ, હળદર, હિંગ અને લાલ મરચાંનો વધુ પડતો ઉપયોગ ન કરવો, તેનાથી શરીરમાં ભારેપણું અને સુસ્તી આવે છે.
- મેંદાથી બનેલી વસ્તુઓ: મેંદો પાચનને બગાડે છે, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસનું જોખમ વધારે છે.
શ્રાવણમાં શું ખાવું જોઈએ?
એક્સપર્ટ જણાવે છે કે શ્રાવણ મહિનામાં હંમેશા હળવો, તાજો અને ગરમ ખોરાક લેવો જોઈએ જે પચવામાં સરળ હોય.
- શાકભાજી: દૂધી, ભીંડા, તુરિયાં, ટામેટાં અને ફુદીનાની ચટણીની સાથે શાકભાજીનો સૂપ પીવો ઉત્તમ છે.
- ફળો: સફરજન, કેળા, દાડમ, નાસપતી, પાકાં જાંબુ અને દેશી કેરી ખાવી જોઈએ.
- પીવાનું પાણી: આ મોસમમાં દૂષિત પાણીથી કોલેરા અને ફૂડ પોઈઝનિંગ જેવી બીમારીઓ થઈ શકે છે. તેથી પાણીને બરાબર ઉકાળીને ઠંડુ કરીને પીવું અથવા વોટર ફિલ્ટરનો ઉપયોગ કરવો. શ્રાવણ માસમાં યોગ્ય આહાર, શિસ્તબદ્ધ દિનચર્યા અને હળવી કસરત અપનાવીને તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકો છો.




Leave a Comment