ઉનાળો હોય કે ચોમાસું, ધોયા પછી પણ ટુવાલમાંથી અજીબ દુર્ગંધ આવવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. જાણો તેની પાછળના મુખ્ય કારણો અને તેને તાજો રાખવાના સરળ ઉપાયો.
ટુવાલ ધોયા પછી પણ સ્મેલ આવે છે
ઉનાળા કે ચોમાસાની ઋતુમાં અવારનવાર એવું જોવા મળે છે કે ટુવાલમાંથી ગંદી દુર્ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધથી છુટકારો મેળવવા માટે લોકો ટુવાલ ધોઈ નાખે છે, પરંતુ ધોયા પછી પણ સમસ્યા યથાવત રહે છે. શું તમારી સાથે પણ એવું થાય છે કે વોશિંગ મશીનમાંથી બહાર કાઢેલો ટુવાલ એકદમ સાફ અને સુગંધિત લાગે છે, પરંતુ જેવો તેનો ઉપયોગ કરો કે તરત જ તેમાંથી વાસ આવવા લાગે છે? જો હા, તો તમે એકલા નથી.
મોટાભાગના લોકો આનું કારણ ટુવાલનું જૂનું હોવું માને છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. સમસ્યા ટુવાલમાં નહીં, પરંતુ તેને ધોવા અને સૂકવવાની પદ્ધતિમાં હોય છે. આવો જાણીએ કે આવું શા માટે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
ટુવાલમાં કેમ ઝડપથી દુર્ગંધ આવે છે?
ટુવાલનો ઉપયોગ આપણે પાણી અને પરસેવો લૂછવા માટે કરીએ છીએ. તેથી જ ટુવાલ એવા ફેબ્રિકથી બનાવવામાં આવે છે જે પાણી અને પરસેવો સરળતાથી શોષી લે છે પરંતુ, આ જ ગુણધર્મ દુર્ગંધનું કારણ પણ બને છે. નાહ્યા પછી ટુવાલમાં ભેજ, શરીરનું તેલ અને ડેડ સ્કિન સેલ્સ રહી જાય છે. જો ટુવાલ પૂરેપૂરો સુકાય નહીં, તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ ઘર કરી જાય છે, જે પાછળથી ગંદી વાસનું કારણ બને છે.
વધારે ડિટર્જન્ટ પણ કરી શકે છે નુકસાન
અનેક લોકો એવું માને છે કે, વધારે ડિટર્જન્ટ પાવડર નાખવાથી ટુવાલ વધુ સાફ થશે, પરંતુ એવું નથી હોતું. જરૂરિયાત કરતાં વધુ ડિટર્જન્ટ ટુવાલના તાંતણાઓમાં જમા થઈ જાય છે. આવી જ રીતે, ફેબ્રિક સોફ્ટનર પણ ટુવાલ પર એક પડ બનાવી દે છે, જેનાથી ભેજ, ગંદકી અને બેક્ટેરિયા તેમાં ફસાઈ જાય છે. પરિણામે, ટુવાલ ધોયા પછી પણ તેની દુર્ગંધ દૂર થતી નથી.
કપડાં ધોતી વખતે થતી ભૂલો
ટુવાલ ધોતી વખતે લોકો અજાણતામાં ઘણી ભૂલો કરે છે:
- અન્ય કપડાં સાથે ધોવા: વોશિંગ મશીનમાં ટુવાલને બાકીના કપડાં સાથે ભરી દેવાથી તે સરખી રીતે સાફ થઈ શકતો નથી.
- ખૂબ ઠંડા પાણીનો ઉપયોગ: ટુવાલને ખૂબ ઠંડા પાણીમાં ધોવો યોગ્ય નથી.
- મશીનમાં મૂકી રાખવો: ધોયેલા ટુવાલને કલાકો સુધી મશીનમાં જ પડી રહેવા દેવાથી પણ દુર્ગંધ આવે છે.
ધોયા પછી ટુવાલને તરત જ સૂકવવા માટે તડકામાં કે દોરી પર નાખી દેવો જોઈએ અને પૂરેપૂરો સુકાઈ જાય પછી જ કબાટમાં મૂકવો જોઈએ.
શું તમારું વોશિંગ મશીન તો જવાબદાર નથી?
જો દર વખતે ધોયા પછી પણ ટુવાલમાંથી અજીબ દુર્ગંધ આવતી હોય, તો કેટલીકવાર આ સમસ્યા તમારા વોશિંગ મશીનમાં પણ હોઈ શકે છે. ખાસ કરીને ફ્રન્ટ લોડ મશીનોમાં દરવાજાના રબર, ડિટર્જન્ટ ટ્રે અને અંદરના ભાગોમાં ભેજ જમા થવાથી ફૂગ બની જાય છે. આવી સ્થિતિમાં તે દુર્ગંધ કપડાં અને ટુવાલ સુધી પહોંચી જાય છે. તેથી સમયાંતરે વોશિંગ મશીનની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે.
ટુવાલને હંમેશા ફ્રેશ રાખવાની સરળ ટિપ્સ:
- બરાબર સૂકવો: દરેક વાર ઉપયોગ કર્યા પછી ટુવાલને સરખી રીતે ફેલાવીને સૂકવવો જરૂરી છે.
- મર્યાદિત ડિટર્જન્ટ: જરૂરિયાત કરતાં વધુ ડિટર્જન્ટ અને ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ ન કરો.
- નિયમિત સફાઈ: ટુવાલને નિયમિત ધોરણે ધોતા રહો.
- તુરંત સૂકવો: ધોયા પછી તરત જ તેને ડ્રાયરમાં અથવા તડકામાં સૂકવી દો.
- ચકાસીને જ કબાટમાં મૂકો: અલમારી કે કબાટમાં રાખતા પહેલા ખાતરી કરી લો કે ટુવાલ પૂરેપૂરો સુકાઈ ગયો છે.
- ડીપ ક્લીનિંગ: જો ટુવાલ ભીનો થતાં જ વાસ મારવા લાગે, તો સમજી જવું કે તેમાં બેક્ટેરિયા કે ગંદકી જમા થઈ ગઈ છે અને તેને ડીપ ક્લીન કરવાની જરૂર છે.




Leave a Comment