ગુજરાતમાં ચોમાસાએ તાંડવ મચાવ્યું છે અને ગત 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે. સુરતના પલસાણા તાલુકામાં 18.19 ઈંચ અને કામરેજમાં 17.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નવસારીમાં 15.28 ઈંચ અને સુરત શહેરમાં 14.09 ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
સુરતમાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત શહેરમાં માત્ર 12 કલાકમાં સરેરાશ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરથાણા વિસ્તારમાં સૌથી વધુ 18.9 ઈંચ, વરાછામાં 18.4 ઈંચ અને લિંબાયતમાં 16.9 ઈંચ વરસાદ નોંધાયો છે.
શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
વરસાદી પાણીમાં યુવક 3 કલાક ફસાયો, દોરીના સહારે કરાયું રેસ્ક્યુ
સુરતના ભરથાણા આઉટ ઓફ રિંગ રોડ વિસ્તારમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક યુવક ત્રણ કલાકથી વધુ સમય સુધી ફસાઈ ગયો હતો. પાણીના વેગમાં તેની બાઈક અને બેગ તણાઈ ગયા હતા, જ્યારે યુવકે ફેન્સિંગના થાંભલાને પકડી રાખીને જીવ બચાવ્યો હતો.
મોબાઇલની ફ્લેશલાઇટના આધારે તેની હાજરીની જાણ થતાં RD Group સેવા ટ્રસ્ટના સભ્યો ટ્રેક્ટર સાથે સ્થળે પહોંચ્યા હતા અને દોરીની મદદથી યુવકનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. યુવકે પોલીસ અને ફાયર વિભાગને ફોન કરવા છતાં સમયસર મદદ ન મળ્યાનો આક્ષેપ કર્યો હતો.
નવસારીમાં પૂરની સ્થિતિ યથાવત, 2 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
ભારે વરસાદ અને ત્રણ નદીઓની વધેલી જળસપાટીને કારણે નવસારી જિલ્લામાં પણ પૂરની સ્થિતિ ગંભીર બની છે. શહેરના આશરે 15 જેટલા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી રહી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વચ્ચે લોકોમાં ચિંતા યથાવત છે.




Leave a Comment