કિડની ટ્રાન્સપ્લાન્ટના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023માં રાજ્યમાં કુલ 818 ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. વર્ષ 2025માં આ સંખ્યા વધીને 1,099 થઈ ગઈ. એટલે કે બે વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદની સિવિલ કિડની હોસ્પિટલમાં પણ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2016માં અહીં 341 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા, જે 2025માં વધીને 500 થયા હતા. ગયા વર્ષે થયેલા 500 ટ્રાન્સપ્લાન્ટમાંથી 330 દર્દીઓ ગુજરાતના અને 170 દર્દીઓ અન્ય રાજ્યોના હતા.
ડાયાલિસિસના આંકડા પણ ચિંતાજનક
ગુજરાતમાં કિડનીની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા કેટલી મોટી છે તેનો અંદાજ ડાયાલિસિસના આંકડાથી પણ લગાવી શકાય છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2025માં 5.61 લાખ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. એટલે કે રજાના દિવસોને બાદ કરતાં દરરોજ સરેરાશ 1,538 દર્દીઓ ડાયાલિસિસ કરાવતા હતા. સિવિલ કિડની હોસ્પિટલમાં પણ દરરોજ સરેરાશ બે કરતાં વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થતા હોવાની માહિતી સામે આવી છે.
ડોનરની રાહમાં દર્દીઓના મોત
કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનરની ઉપલબ્ધતા હજુ પણ મોટો પડકાર છે. છેલ્લા પાંચ વર્ષમાં કિડની માટે ડોનરની રાહ જોતા 16 દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કેડેવર અને સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જેવા વિકલ્પો હોવા છતાં જરૂરિયાત મુજબ ડોનર ઉપલબ્ધ ન થવાને કારણે અનેક દર્દીઓને લાંબી રાહ જોવી પડે છે.
કિડનીના દર્દીઓ વધવાનું મુખ્ય કારણ શું?
નિષ્ણાતો અનુસાર, કિડનીની બીમારી વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. તેમાં ખાસ કરીને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર મહત્વના પરિબળો છે. લાંબા સમય સુધી અનિયંત્રિત ડાયાબિટીસ રહે તો કિડની પર ગંભીર અસર થઈ શકે છે.
આ ઉપરાંત જીવનશૈલીમાં આવેલા બદલાવને કારણે પણ કિડનીની સમસ્યાઓ વધી રહી છે. વધુ પડતું મીઠું, તેલિયું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવું, ફાસ્ટ ફૂડની વધતી ટેવ, પૂરતું પાણી ન પીવું અને કસરતનો અભાવ પણ જોખમ વધારી શકે છે. ડોક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી પેઇનકિલર જેવી દવાઓ લેવી પણ કિડની માટે નુકસાનકારક બની શકે છે. કેટલાક વિસ્તારોમાં પાણીની ગુણવત્તા અને તેમાં રહેલા ચોક્કસ રસાયણો પણ સ્થાનિક રીતે જોખમનું કારણ બની શકે છે.




Leave a Comment