શ્રીલંકા સામે ગોલમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. પંત 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 39 રન બનાવીને ખરાબ શોટ રમતાં આઉટ થયો હતો.
ભારતના પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ એક્સપર્ટ મોહમ્મદ કૈફે પંતના આઉટ થવાની રીત પર નારાજગી વ્યક્ત કરી છે. કૈફે પંતના ‘કોમન સેન્સ’ પર સવાલ ઉઠાવતા તેની આકરી ટીકા કરી હતી.
ઋષભ પંત કેવી રીતે થયો આઉટ?
236 રનના સ્કોર પર શુભમન ગિલ આઉટ થયા બાદ પાંચમા નંબર પર ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો હતો. પંતે દેવદત્ત પડિક્કલ સાથે મળીને થોડા સમય સુધી ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. તેણે મજબૂત ડિફેન્સ સાથે કેટલાક આક્રમક શોટ્સ પણ ફટકારીને શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવ્યું હતું.
જો, કે 80 ઓવર પૂર્ણ થયા બાદ શ્રીલંકાએ નવી બોલ લીધી અને ત્યારથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. નવી બોલથી બોલરોને વધુ મદદ મળતી હોવાથી બેટ્સમેન માટે શરૂઆતની ઓવરોમાં સંભાળીને બેટિંગ કરવી જરૂરી હતી. પરંતુ પંતે નવી બોલ સામે પહેલી જ બોલથી આક્રમક વલણ અપનાવ્યું હતું.
તેણે શરૂઆતની ત્રણ બોલમાં આગળ આવીને શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ચોથી બોલ પર પણ તે આગળ આવીને શોટ રમવા ગયો, પરંતુ બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો નહીં. બોલ હવામાં ઉછળ્યો અને લોંગ ઓફ પર ઉભેલા ફિલ્ડરે સરળ કેચ પકડીને પંતની ઇનિંગ્સનો અંત લાવી દીધો.
પંતની ભૂલ પર મોહમ્મદ કૈફ ભડક્યા
પંતના આઉટ થવાની રીતથી નારાજ મોહમ્મદ કૈફે સોની સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન તેની આકરી ટીકા કરી હતી. કૈફે કહ્યું કે પંત આક્રમક ક્રિકેટ રમે તેની સામે તેમને કોઈ વાંધો નથી,
પરંતુ નવી બોલ સામે આટલું જોખમ લેવું યોગ્ય નહોતું. કૈફના મતે, નવી બોલ આવતાં બેટ્સમેને શરૂઆતની કેટલીક ઓવરોમાં સંભાળીને રમવું જોઈએ. તેમણે પંતની બેટિંગમાં ક્રિકેટિંગ સેન્સ અને પરિસ્થિતિ પ્રમાણે રમત બદલવાની ક્ષમતાના અભાવ પર સવાલ ઉઠાવ્યો હતો.
‘નવી બોલ સામે થોડું કેલ્ક્યુલેટ કરવું પડે’
કૈફે કહ્યું, કે જો કોઈ બેટ્સમેન 150 રન પર પણ હોય તો નવી બોલ આવ્યા બાદ તે કેટલીક બોલ સંભાળીને રમે છે. ટેસ્ટ ક્રિકેટમાં નવી બોલ સામે શરૂઆતની 5થી 6 ઓવરોમાં ધીરજ રાખવી જરૂરી હોય છે.
તેમના મતે પંતે નવી બોલ આવ્યા બાદ પહેલી જ બોલથી આક્રમક શોટ રમવાનો પ્રયાસ કરીને મોટી ભૂલ કરી હતી. કૈફે કહ્યું કે પંતે અહીં લોજિક અને ક્રિકેટિંગ સેન્સનો ઉપયોગ કર્યો હોત તો કદાચ તે લાંબી ઇનિંગ્સ રમી શક્યો હોત.




Leave a Comment