ભારતીય ક્રિકેટ માટે વર્ષ 2018ના અંડર-19 વર્લ્ડ કપમાં હીરો સાબિત થયેલા મનજોત કાલરા હવે ગંભીર વિવાદમાં ફસાયા છે. લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન જાફના કિંગ્સ ફ્રેન્ચાઇઝીના સહ-માલિક તરીકે જોડાયેલા 27 વર્ષીય મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એક ખેલાડીને મેચ ફિક્સિંગ માટે લાલચ આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે. શ્રીલંકા પોલીસની સ્પોર્ટ્સ ક્રાઇમ્સ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) એ શુક્રવારે આ કાર્યવાહી હાથ ધરી હતી.
31 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
ધરપકડ બાદ મનજોત કાલરાને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 31 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ જ કેસમાં યુવરાજ પુષ્પા નામના અન્ય એક ભારતીય નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને સામે મેચ ફિક્સિંગ સંબંધિત ગંભીર આરોપોની તપાસ ચાલી રહી છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું નિવેદન
ઘટના બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) એ સ્પષ્ટ કર્યું છે, કે આ કેસની લંકા પ્રીમિયર લીગ પર કોઈ અસર નહીં પડે અને ટૂર્નામેન્ટ અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ જ ચાલુ રહેશે. બોર્ડે જણાવ્યું છે, કે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે અને ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.
અંડર-19 વર્લ્ડ કપના હીરોથી વિવાદ સુધીની સફર
મનજોત કાલરા વર્ષ 2018ના ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારીને ચર્ચામાં આવ્યા હતા અને ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે બાદમાં ઉંમર સંબંધિત ગેરરીતિ (એજ ફ્રોડ)ના કેસમાં તેમનું નામ સામે આવતાં તેમની ક્રિકેટ કારકિર્દીને મોટો ફટકો પડ્યો હતો અને તેમના પર એક વર્ષનો પ્રતિબંધ પણ લાગ્યો હતો.
ક્રિકેટ છોડ્યા બાદ બિઝનેસમાં પ્રવેશ
સક્રિય ક્રિકેટથી દૂર થયા બાદ મનજોત કાલરાએ સ્પોર્ટ્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે તેમણે લંકા પ્રીમિયર લીગની જાફના કિંગ્સ ટીમમાં સહ-માલિક તરીકે રોકાણ કર્યું હતું. જો, કે હવે મેચ ફિક્સિંગના ગંભીર આરોપોને કારણે તેઓ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી ગયા છે. હાલ સમગ્ર મામલે શ્રીલંકાની તપાસ એજન્સીઓ તપાસ આગળ વધારી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




Leave a Comment